



પોલીસનું નામ પડતાં જ સામાન્ય રીતે લોકોના માનસપટલ પર ભયજનક છબી ઉપસતી હોય છે. જોકે હાલમાં કોરોના મહામારીમાં સપડાયેલાં લોકોને હૂંફ મળે, તેઓ પોતાનું મનોબળ જાળવી રાખે, અને જો તેમને કોઇ સમસ્યા હોય તો તેનું નિરાકરણ લાવવા સહિતની કાઉન્સિલીંગની કામગીરી હાલમાં પોલીસ કરી રહી છે. ભરૂચ એસઓજીની ટીમે અત્યાર સુધીમાં જિલ્લાના 2434 કોરોના દર્દીઓનો ટેલીફોનિક સંપર્ક કરી તેમનું કાઉન્સિલીંગ કર્યું હોવાની વિગતો મળી રહી છે. કાઉન્સિલીંગ વેળાં કેટલાંક લોકો ભયના કારણે અથવા તો આરોગ્યની બાબતમાં પોલીસનું શું કામ તેમ વિચારી ક્યારેક રકઝકમાં ઉતરી પડતાં હોય છે. જોકે પોલીસકર્મીઓ તેમને સમજાવે છે કે, પોલીસ પ્રજાની મિત્ર છે અને તેમને કોઇ પ્રકારની સમસ્યા હોય તો તેનું નિરાકરણ લાવવામાં પોલીસ તંત્ર પણ ખાસ ભુમિકા ભજવી શકે છે.
ભરૂચ શહેર જિલ્લામાં કોરોનાના કેસોનો આંક સતત વધી રહ્યો છે. ત્યારે તે પૈકીના કેટલાંક લોકો હોમ આઇસોલેશનમાં જ્યારે મોટાભાગના લોકો કોવિડ હોસ્પિટલોમાં સારવાર લેતાં હોય છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના દર્દીઓને આરોગ્યલક્ષી જરૂરિયાત પુરી પાડવા માટે સતત પ્રયત્નશીલ રહેતું હોય છે. જોકે, કોરોનાની ચપેટમાં આવેલાં લોકોને દવાની સાથે કાઉન્સિલીંગની પણ એટલી જ જરૂરિયાત હોય છે. જે ભરૂચ એસઓજી પોલીસની ટીમ કરી રહી છે. એસઓજીની ઓફિસ ખાતે રોજ બે પોલીસકર્મીઓ કોરોનાના દર્દીઓનો ટેલિફોનિક સંપર્ક કરે છે અને તેમની વિગતો મેળવે છે. જેમકે તેઓને કોરોના ક્યારે થયો, કોઇના સંપર્કમાં આવવાથી ચેપ લાગ્યો હોવાની શંકા છે કે કેમ, પરિવારમાં કેટલાં સભ્યો છે. તેમની ઉંમર સહિત તેઓને કોઇ લક્ષણ છે કે કેમ તે સહિતની તમામ વિગતો મેળવવામાં આવે છે. ઉપરાંત તેઓને કોરોના મહામારીને તેઓ નિયમીત દવાનું સેવન, સકારાત્મક વિચારો, યોગ-કસરતથી મ્હાત આપી શકે છે, તેઓ વહેલાં સાજા થઇ જશે તેવી પોઝિટિવ સમજ આપવામાં આવે છે. જેથી કે સકારાત્મક ઉર્જા સાથે તેઓ કોરોના સામે લડત આપી શકે.
આરોગ્ય વિભાગ દ્વારા અમને મોકલવામાં આવતાં કોરોના દર્દીઓના લિસ્ટ પર રોજ બે પોલીસ કર્મીઓ તેમજ એક કોમ્પ્યુટર ઓપરેટર મળી 3 જણાની ટીમ કામ કરતી હોય છે. કોરોનાગ્રસ્તને ફોન કરી તેમની વિગતો મેળવવામાં આવે છે. અને તેમની કોઇ સમસ્યા હોય તો તે જાણવાનો પ્રયાસ કરાય છે. અને આરોગ્ય ટીમની મદદથી કે વહિવટી તંત્રની મદદથી તેમની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે છે.
કોરોનાની બિમારી હોય તો સામાન્યરીતે આરોગ્ય વિભાગ દ્વારા જ તેને સંલગ્ન પુછપરછ કરે તેવી ધારણાં લોકોની હોય છે. જેથી જ્યારે પોલીસ વિભાગમાંથી ફોન થાય ત્યારે મોટાભાગના લોકો અજમંજસમાં પડી જાય છે કે પોલીસ કેમ પ્રશ્ન કરે છે. જોકે લોકોને પોલીસ દ્વારા યોગ્ય માહિતી આપવા સાથે જરૂરી માર્ગદર્શન આપી કાઉન્સિલિંગ કરવામાં આવતાં લોકો પોલીસની કામગીરીથી પ્રભાવિત પણ થતાં હોય છે.
પોલીસનો ફોન આવતાં દર્દીઓના મનમાં અનેક પ્રશ્નો ઉદભવતાં હોય છે. કાઉન્સિલીંગ કરનારા પોલીસ કર્મીઓએ તે અંગે જણાવ્યું હતું કે, કેટલાંક લોકો પોલીસનું નામ સાંભળતાં પહેલાં ગભરાઇ જતાં હોય છે. તમે કેમ અમારી ઇન્ક્વાયરી કરો છો તેવો પ્રશ્ન કરે છે. તે સાથે કેટલાંક લોકો તમારે મારા કોરોનાથી શું લેવા દેવા?, પરિવારની વિગતોનું શું કરશો?, મને કોઇ તકલીફ નહીં થાય ને?, સાચે જ તમે પોલીસવાળા છો? તે સહિતના અનેક પ્રશ્નો દર્દીઓ તરફથી આવતાં હોય છે. જોકે પોલીસકર્મીઓ તેમને હળવાશથી તમામ સમજણ આપે છે.
કાઉન્સિલીંગ વેળાં કેટલાંક દર્દીઓએ અમારી પાસે મદદ પણ માંગી છે. જેને અમે પુરી કરવામાં મદદરૂપ થયાં છે. એક દર્દીનું નામ અમારી પાસે આવ્યું હોવા છતાં તેના ઘરે મેડિકલ ટીમ પહોંચી ન હતી, અમે તુરંત આરોગ્ય ટીમને તેના ઘરે પહોંચાડી હતી, હોસ્પિટલમાં કેટલાંક દર્દીઓએ ભોજન અંગે ફરિયાદ કરી હતી. તે સમસ્યાનું પણ અમે નિરાકરણ લાવ્યાં હતાં. આ સહિત અનેક નાની મોટી મદદ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી છે.