



નર્મદા જીલ્લાના કેવડીયા કોલોની ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીને સરકારની કોવીડ-૧૯ ની માર્ગદર્શિકા સાથે આજે તા.૧૭ મી ઓક્ટોબર ૨૦૨૦ ને શનિવારના રોજ પુન: ખૂલ્લુ મૂકાયું છે.સ્ટેચ્યુ ઓફ યુનિટીની પરિસરની આસપાસના રીવર રાફ્ટીંગ,એકતા નર્સરી,કેકટસ ગાર્ડન,બટરફ્લાય ગાર્ડન અને વિશ્વ વન વગેરેને પણ પ્રવાસીઓ માટે ખૂલ્લા મૂકાયા છે.
આજે પ્રથમ દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેનાર મહારાષ્ટ્ર થાણેના પ્રવાસી મુલાકાતી વિક્રાંત નીત નાવરેએે પોતાનો પ્રતિભાવ આપતાં કહ્યુ હતુ કે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને ઘણો જ આનંદ થયો છે.અમે પરિવાર સાથે અહીં આવ્યા છીએ લોકડાઉન બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે પુન: શરૂ કરાયું હોવાથી પ્રથમ દિવસે જ અમે ટીકિટ બુક કરાવી.આ મુલાકાત લઈને અમે ખુબ જ ખુશ છીએ.વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા બનાવવા બદલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ આ તકે તેમણે આભાર માન્યો હતો.
વડોદરાના પ્રવાસી મુલાકાતી મિલિન્દ રૂપારેલે કહ્યું હતું કે, લોકડાઉનના સમયમાં ઘરે જ હતાં.પરંતુ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ અમને ખુબ જ મજા આવી અને અહીં સરકારની કોવીડ-૧૯ ની ગાઇડ લાઇન પ્રમાણે સોશ્યલ ડિસ્ટન્સીંગ,સૅનેટાઈઝ સહિતની પૂરી વ્યવસ્થા કરવામાં આવી હોવાનું મિલીન્દે ઉમેર્યુ હતું.તેવી જ રીતે રાજકોટના પ્રવાસી મુલાકાતી ભારતીબેન મહેતાએ પોતાના પ્રતિભાવમાં કહ્યું કે કોવીડ-૧૯ ને લીધે લોકડાઉનના લીધે ક્યાંય ફરવા જઈ શકાયું નહોતું પંરતુ એવી ઈચ્છા હતી કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવી છે.આજે મુલાકાત લઈને અમને ખુબ જ ખુશી થઈ છે.કોઈપણ પ્રકારની અહીં અમને મુશ્કેલી પડી નથી.પ્રવાસીઓ માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરાઈ હોવાનું તેમણે ઉમેર્યું હતું.
સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુલાકાતી પ્રવાસીઓએ ૪૫ માળની ઉંચાઈએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યૂઈંગ ગેલેરી પ્રતિમાના હૃદય સ્થાને થી નર્મદા ડેમનો નજારો માણવાની સાથો સાથ વિધ્યાંચળ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું.તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન,લાયબ્રેરી,સરદાર સાહેબના જીવન કવનને વણી લેતી દસ્તાવેજી ફિલ્મ પણ પ્રવાસી મુલાકાતીઓએ નિહાળી હતી.
સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સવારે ૮ થી ૧૦ અને ૧૦ થી ૧૨,બપોરે ૧૨ થી ૨ અને ૨ થી ૪ તેમજ સાંજે ૪ થી ૬ સહિત એમ કુલ-૫ સ્લોટની વ્યવસ્થા કરવામાં આવી છે.જેમાં પ્રત્યેક સ્લોટમાં ૫૦૦ પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવશે.કોવીડ-૧૯ ના માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને સોશ્યલ ડિસ્ટન્સીંગની સાથે દરરોજ ૨૫૦૦ પ્રવાસીઓને પ્રવેશ અપાશે.સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટિકીટ દર બે કલાકના સ્લોટમાં ઓનલાઈન ધોરણે જ અધિકૃત ટિકીટ વેબસાઈટ www.soutickets.in ઉપરથી મેળવી શકાશે. પ્રવાસીઓને વધુ પુછપરછ તેમજ ફરિયાદ માટે ટોલ ફ્રી ફેલ્પલાઈન નં.૧૮૦૦ ૨૩૨ ૬૬૦૦ પર સંપર્ક સાધવા જણાવ્યુ છે.