



કેવડિયામાં આગામી 31 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં એકતા દિવસની ઉજવણી કરવામાં આવશે. જે પૂર્વે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. જોકે PM મોદી રાત્રી રોકાણ કરીને યુનિટી ગ્લો ગાર્ડનમાં ટહેલવા નીકળે તેવી શક્યતા છે. આ સમયે યુનિટી ગ્લો ગાર્ડનના ફૂલો રોશનથી ઝળહળી ઉઠશે. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીને લઈને ફરી એકવાર કેવડિયા નગરી દુલ્હનની જેમ સજી છે. તમામ પ્રોજેક્ટને અંદાજે 40 કરોડના ખર્ચે LED લાઈટ થકી સજાવવામાં આવી છે. જેમાં કેવડિયા નગરી, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, ગ્લો ગાર્ડન અને નર્મદા ડેમનો સમાવેશ થાય છે.
લાઈટિંગનો શણગાર હવે કાયમી રહેશે
સ્ટેચ્યૂ વિસ્તારમાં પ્રવેશતા જ કોકોનટ લાઇટિંગ, લેસર લાઈટિંગથી શણગારવામાં આવ્યું છે. આ લાઈટ થકી પ્રાણીઓનાં ચિત્રો, ફૂલ-ઝાડ પણ બનાવવામાં આવ્યા છે. કોકોનટ ગાર્ડન, ગ્લો ગાર્ડન તમામ વિસ્તારની લાઈટ, વિશ્વ વન સહિતના પ્રોજેક્ટમાં લાઈટિંગ કરાયું છે. આ લાઈટિંગ હવે કાયમી રખાશે.
31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં વડાપ્રધાન મોદી હાજરી આપશે
કેવડિયા ખાતે 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં વડાપ્રધાન મોદી હાજરી આપશે. આ કાર્યક્રમ અંતર્ગત તૈયારીઓ પણ શરુ કરી દેવામાં આવી છે. આ માટે અધિકારીઓની બેઠકોનો દોર પણ શરૂ થઈ ગયો છે. હાલની કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સમગ્ર કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવામાં આવશે. તે ઉપરાંત કાર્યક્રમનું કદ પણ નાનું રાખવામાં આવે તેવી શક્યતાઓ છે. આ કાર્યક્રમમાં 150 જેટલા આગેવાનો અને મહેમાનો ઉપસ્થિત રહેશે.
કાર્યક્રમની તૈયારીઓ માટે 32 સમિતિઓની રચના કરાઈ
પ્રાપ્ત વિગતો પ્રમાણે કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી દશેરાથી શરૂ થઈ જશે જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપશે. આ કાર્યક્રમને લઈને અધિકારીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. નર્મદા જિલ્લા કલેક્ટરે આ કાર્યક્રમની તૈયારીઓ માટે 32 જેટલી સમિતિઓની રચના કરી છે. સમગ્ર કાર્યક્રમ માટે નર્મદા સહિત ભરૂચ, છોટાઉદેપુર, વડોદરા જિલ્લાઓની પોલીસ ફોર્સ સાથે વહીવટી અધિકારીઓ પણ તૈનાત રહેશે. આ કાર્યક્રમમાં નેશનલ ફોર્સ સાથે ગુજરાત પોલીસ પણ પરેડ રજુ કરશે.
વડાપ્રધાન મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે
કેવડિયા ખાતે યોજાનાર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી દરમિયાન વડાપ્રધાન મોદી પણ ખાસ હાજરી આપવાનાં છે. ત્યારે મોદી ગુજરાતમાં તેમના ડ્રીમ પ્રોજેક્ટનાં ઉદ્ઘાટન પણ કરશે. તેઓ અમદાવાદ રીવરફ્રન્ટથી સી પ્લેનની યોજનાનું ઉદ્ઘાટન કરશે અને આ પ્લેન મારફતે તેઓ કેવડિયા જશે. ત્યાં તેઓ આ કાર્યક્રમમાં હાજરી આપશે. બાદમાં તેઓ પ્રવાસીઓ માટે સ્ટેચ્યૂ ઓફ યુનિટીને પ્રવાસીઓ માટે મુકશે તેની સાથે સમગ્ર દેશના પર્યટન સ્થળોને તેઓ પ્રવાસીઓ માટે ખુલ્લા મુકે તેવી શક્યતાઓ છે.
તળાવ નંબર-3 પાસે સી-પ્લેન માટે જેટી બનવવાનું કામ પૂર્ણ
કેવડિયા ખાતે 31 ઓક્ટોબરે વડાપ્રધાનની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થવાની છે. તેઓ સી-પ્લેન મારફતે અમદાવાદથી કેવડિયાના નર્મદા ડેમ નજીક તળાવ નંબર-3 ખાતે ઉતરવાના છે. આ સાથે રાજ્યનો પ્રથમ સી-પ્લેન પ્રોજેક્ટ પણ શરૂ થવાનો છે. અમદાવાદથી આવનારું સી પ્લેન જ્યાં ઉતરવાનું છે તે તળાવ નંબર-3 પાસે જેટી બનવવાનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.