



ગત વર્ષે દશેરાએ પાંચ કરોડ રૃપિયાનું વેચાણ થયું હતું, કોરોનાનો ડર અને સરકારની ગાઇડ લાઇનના કારણે ફરસાણના વેપારીઓને ગત વર્ષની સરખામણીએ રૃ.૩ કરોડનો ફટકો લાગશે
તહેવારોની મોસમ ચાલુ થઇ ગઇ છે. નવરાત્રી તેના અંતિમ પડાવમાં છે. રવિવારે શહેરમાં દશેરાની ઉજવણી થશે.વડોદરામાં દર વર્ષે દશેરાના દિવસે કરોડો રૃપિયાના ફાફડા-જલેબીનું વેચાણ થાય છે. પરંતુ આ વર્ષે ફાફડા જલેબીના વેપારીઓ નિરાશ છે કેમ કે તેઓનું માનવુ છે કે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ૪૦ ટકા જેટલુ વેચાણ થાય તો પણ બહુ છે.
ગુજરાત રાજ્ય મીઠાઇ ફરસાણ ઉત્પાદક વેપારી મહામંડળના વરિષ્ઠ ઉપ પ્રમુખ તથા વડોદરા શહેર મીઠાઇ ફરસાણ ઉત્પાદક વેપારી મંડળના પ્રમુખ રાધેશ્યામભાઇ શાહનું કહેવું છે કે મીઠાઇ અને ફરસાણના વેપારમાં આટલો નિરાશ માહોલ અગાઉ ક્યારેય જોવા મળ્યો નથી. વેપારીઓને ખબર છે કે દર વર્ષની જેમ આ વર્ષે દશેરામાં ફાફડા જલેબીનું વેચાણ નહી થાય એટલે ઉત્પાદન પણ ઓછુ છે. દર વર્ષે તો દશેરાના બે ત્રણ દિવસ પહેલા જ સ્ટોક તૈયાર થઇ જતો હતો આ વર્ષે બજારમાં માહોલ જ નથી.
વડોદરામાં ૫૦૦થી વધુ ફરસાણની નાની મોટી દુકાનો છે અને એટલી જ સંખ્યામાં ફાફડા-ગાંઠિયા-જલેબીનું વેચાણ કરતી લારીઓ પણ હશે. આ તમામનો મળીને ગત વર્ષે દશેરામાં આશરે રૃ. પાંચ કરોડનો વેપાર થયો હતો તેની સામે આ વર્ષે બે કરોડનો વેપાર થાય તેવો અંદાજ છે. મતલબ કે આ વર્ષે ફાફડા-જલેબીના બજારને રૃ.૩ કરોડથી વધુનું નુકસાન થશે.કોરોનાનો ડર અને સરકારની ગાઇડ લાઇનના કારણે ફાફડા-જલેબીના વેચાણમાં મોટો ફટકો પડશે જેથી ફરસાણના વેપારીઓની દિવાળી પણ બગડે તેવો માહોલ છે.
કાચા માલના ભાવમાં ઉછાળો આવતા ફાફડા અને જલેબીના ભાવમાં ૨૦થી ૨૫ ટકાનો વધારો થયો
ફાફડા-જલેબીના વેચાણમાં ઘટાડા પાછળ કોરોના ઉપરાંતના પણ અન્ય કારણો છે જે અંગે મીઠાઇ ફરસાણ ઉત્પાદક વેપારી મંડળના પ્રમુખે માહિતી આપતા કહ્યું હતુ કે ત્રણ મુખ્ય કારણો છે
૧) ગત વર્ષની સરખામણીએ આ વર્ષે તેલ,ઘી, ચણાનો લોટ અને મેંદાના ભાવમાં સરેરાશ ૨૦ ટકાનો વધારો થયો છે જેના પગલે ફાફડા અને જલેબીના ભાવમાં પણ ૨૦ થી ૨૫ ટકાનો વધારો થયો છે.
ગત વર્ષે ફાફડા રૃ.૨૮૦ થી ૩૨૦ ના ભાવે વેચાયા હતા હવે તેનો ભાવ ૩૨૦ થી ૪૦૦ રૃપિયા થયો છે તે રીતે જલેબીનો ભાવ ગત વર્ષે ૧૬૦ થી ૨૦૦ હતો આ વખતે ૨૦૦ થી ૪૦૦ રૃપિયાનો થયો છે.
૨) સરકારે જાહેર કરેલી ગાઇડ લાઇન પ્રમાણે દુકાનો પણ લોકો એકઠા થઇ નહી શકે. બીજી તરફ કોરોનાના ડરથી લોકો પણ ખરીદી માટે બહાર નીકળતા નથી અને બહારની ખાદ્ય ચીજ વસ્તુઓ ખરીદવાથી હજુ ખચકાઇ રહ્યા છે.
૩) વડોદરામાં ફાફડા-જલેબી સહિત મીઠાઇ ફરસાણ બનાવવા માટે રાજસ્થાન, યુપી, બિહારના કારીગરો કામ કરતા હતા. આ કારીગરો લોકડાઉનમાં વતન જતા રહ્યાં બાદ તેમાંથી મોટાભાગના પરત ફર્યા નથી એટલે વેપારીઓ પાસે માલ ઉત્પાદન માટે પુરતી ક્ષમતા નથી.