



તૃષાર પટેલ,વડોદરા – ગુજરાત ના પૂર્વપટ્ટી વિસ્તારના આદિવાસીઓ લાંબા સમય સુધી સારી અવસ્થામાં અનાજ સંગ્રહ કરી રાખવા માટે વાંસ માંથી બનાવવામાં આવતી મોહટી અને હાટો(સાટો) નો ઉપયોગ કરતા હોય છે.
ગુજરાત રાજ્યના આદિવાસી જિલ્લાઓ પૈકીના દાહોદ, છોટાઉદેપુર, નર્મદા તેમજ મધ્યપ્રદેશ સરહદી વિસ્તાર ના પૂર્વપટ્ટીના આદિવાસી લોકો મોટેભાગે ખેતી કરી ને પોતાનુ ગુજરાન ચલાવે છે ,અહીં ના લોકો ખેતીની ઊપજ ધાન્ય જેવા કે મકાઈ, તુવેર, જુવાર, ડાંગર,અડદ,બાજરી,બટી,શામેલ,રાળો,ભેદી,કોદરા જેવી ધાન્ય પેદાશો ને લાંબા સમય સુધી સારી અવસ્થામાં સંઘરી રાખવા માટે મોહટીનો ઉપયોગ કરતા હોય છે .
મોહટી વાંસ માથી બનાવવામાં આવે છે, જે વાંસ ના ફાડચા કરી ને કાંમળા બનાવવામાં આવે છે, ઉપયોગ માં લેવાતા વાંસ ના કામળા ને બળદ કે ભેંસ ના મુત્ર માં કેટલાક સમય સુધી પલાળી રાખવા માં આવે છે જેથી કરીને અનાજ સંગ્રહ માટે બનાવવામાં આવતી મોહટી લાંબા સમય સુધી સારી અવસ્થામાં રહે કે મોહટી ને સડો ન લાગે, ત્યારબાદ કામળા માંથી જરૂરિયાત પ્રમાણે ની નાની કાંમળી ઘડીને હાથવણાટ થી મોહટી તૈયાર કરવામાં આવે છે, એક મોહટી તૈયાર કરવામાં આશરે ત્રણ થી ચાર દિવસ નો સમય લાગે છે, મોહટી તૈયાર કર્યા બાદ તેમાં અનાજ ભરીને માટી અને છાણ નો ગારો બનાવી ને અંદર ના ભાગે લિપણ કરી લેવામાં આવે છે, જ્યારે તેમા જે તે અનાજ ભરવા માં આવે ત્યારે અનાજ ની સાથે ચૂલ્હા ની સફેદ રાખ અને કડવા લીમડાના ડોરાઅં ભેળવીને ભરવા માં આવે છે જેથી અનાજમા કોઈ પણ પ્રકારની જીવાતો નહીં પડે અને અનાજ લાંબા સમય સુધી સુધી સારી અવસ્થામાં સુરક્ષિત રીતે રહી શકે, ત્યારબાદ મોહટીનો મુખના ભાગને માટી-છાણ અને સાથે ડાંગર ના પરાળનો ઉપયોગ કરી ને લિપણ કરીને ડાંટો દઇ દેવાતો હોય છે, જ્યારે જરૂર પડે ત્યારે એક બાજુ નો ડાંટો ખોલી ને જરુરીયાત પ્રમાણે અનાજ કાઢી શકાય.
આ વિસ્તારના મોટી ઉંમરના વડીલો ઓ પાસેથી મળતી માહિતી મુજબ પહેલા ના સમય માં જ્યારે દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાતી ત્યારે અગમચેતી રુપે મોહટી માં ખાસ કરીને ડાંગર,ભેદી,બટી ,શામેલ, રાળો અને કોદરા જેવા ધાન્ય પાકોને ૪૦-૫૦ વર્ષ સુધી પણ સારી અવસ્થામાં રાખી દુષ્કાળ જેવી સ્થિતિ માં પણ સુયોગ્ય વિકલ્પ થકી જીવન ટકાવી રાખવાનો આ ક્ષેત્રના આદિવાસી ઓની આગવી સૂઝ અને અભિગમ રહ્યો છે.
આદિવાસી સમાજના વાલસિંગભાઇ રાઠવા જણાવે છે પહેલા ના સમયે જ્યારે કોઈ બહારથી અજાણી વ્યક્તિ કે મહેમાનો આવે ત્યારે ઘરમાં કેટલી મોહટીઓ છે, અને કેટલી મોટી મોહટીઓ છે તે જોઈને ઘરની આર્થિક સધ્ધરતા આંકી લેવાતી..! આમ મોહટી એ આદિવાસીઓ માટે આર્થિક સધ્ધરતા નુ પણ સિમ્બોલ બની રહે છે, તેમજ મોહટી એ આ વિસ્તારના આદિવાસી લોકો માટે અનાજ ને સાચવી રાખવા માટે એક લાંબા ગાળાના અને બિનખર્ચાળ કોલ્ડ સ્ટોરેજની ગરજ સારે છે અને મોહટી બનાવવા ના વ્યવસાય સાથે સંકળાયેલા આદિવાસી લોકો નુ એક આજીવિકાનું સાધન બની રહે છે.
મોહટી ની ખરીદી અને વેચાણ ખાસ કરીને દશેરા બાદ વધુ જોવા મળે છે કારણ કે દશેરા બાદ જ આ વિસ્તારના લોકો મકાઇ, અડધ, તુવર, જુવાર, બટી ,રાળો, સામેલ, ભેદી,કોદરા અને ડાંગર, જેવા ધાન્ય પાકો ની તબક્કા વાર લણણી કરતા હોય છે.
મોહટી ની કિંમત રૂપિયા ૪૦૦/- થી લઇને રુપિયા ૨૦૦૦/- સુધી હોય છે, મોહટી ની અંદર અંદાજે ૧૦૦ કીલોથી લઇને ૨૦૦૦ કીલો જેટલું અનાજ સંગ્રહ કરી શકાતું હોય છે.
આદિવાસીઓ દેવદિવાળી એ મોહટી પર દીવડા મુકીને ભારે આસ્થા સાથે અન્નદેવી કણી કણહેરીનુ પૂજન કરતા હોયછે, અને પૂજન પાછળ ની માન્યતા એવી છે જે મોહટી માથી દાણા ખૂટે નહીં, ભર્યા ભંડાર રહે…!
આમ આદિવાસી લોકો અનાજ સડી ન જાય અને લાંબા સમય સુધી સારી અવસ્થામાં ટકી રહે તે માટે ની વૈજ્ઞાનિક પદ્ધતિ થી સાચવણી ની અનોખી કોઠાસૂઝ ધરાવે છે.ખાસ કરીને છોટાઉદેપુર ના શનિવારના અઠવાડીક હાટ માં લોકો ખરીદ વેચાણ માટે આવતા હોય છે..