



અમદાવાદ-ગ્વાલિયર અને અમદાવાદ-આગ્રા કેન્ટ ટ્રેનમાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો
ટ્રેનોમાં મહિલાઓની સુરક્ષા સુનિચ્છિત કરવા માટે પશ્ચિમ રેલવે દ્વારા ‘મારી સહેલી’ અભિયાન હેઠળ અમદાવાદ-ગ્વાલિયર અને અમદાવાદ-આગ્રા કેન્ટ બે ટ્રેનોમાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં મહિલા ટ્રેનમાં બેસે ત્યારથી લઇને તેના ગંતવ્ય સ્ટેશન સુધી ઉતરે ત્યાં સુધી ટ્રેનમાં મુસાફરી દરમિયાન મહિલાના સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી આરપીએફની મહિલા ઓફિસરો નિભાવશે.
ટ્રેનમાં એકલી કે બાળકો સાથે મુસાફરી કરતી મહિલાઓની સુરક્ષાની જવાબદારી આરપીએફની મહિલા અધિકારીઓ ઉપાડી લેશે. અસામાજિક તત્વોનો ત્રાસ સહન ન કરવો પડે, મુસાફરી દરમિયાન કોઇપણ પ્રકારની મુંઝવણ, અસુરક્ષા કે હેરાનગતિનો ભોગ બનવો ન પડે તે માટે દરેક ડિવિઝનમાં મહિલા સ્કવોર્ડ દ્વારા મોનિટરિંગ કરવાની વ્યવસ્થા ઉભી કરાઇ છે.
આ અંગે અમદાવાદ વિભાગના ડીઆરએમ દિપકકુમાર ઝા ના જણાવ્યા મુજબ ‘મારી સહેલી’ પહેલનો ઉદ્દેશ ટ્રેનથી મુસાફરી કરતી મહિલા યાત્રીઓને તેમની સંપૂર્ણ મુસાફરીમાં ડેસ્ટિનેશન સ્ટેશન સુધીની શ્રેષ્ઠ સુરક્ષા પુરી પાડવાનો છે. આ માટે મહિલા અધિકારીઓ અને કર્મચારીઓની એક ટીમ બનાવવામાં આવી છે. આ ટીમ મહિલા યાત્રીઓની ઓળખ સુનિચ્છિત કરવા માટે લેડિઝ કોચ સહિતના તમામ કોચની મુલાકાત લેશે.
મહિલા મુસાફરોની વિગતો જેવી કે કોચ નંબર, સીટ નંબર નોંધવામાં આવશે.ખાસ કરીને કોઇ મહિલા એકલી યાત્રા કરતી હશે તો આ મહિલા મુસાફરને આરપીએફ સિક્યુરિટી હેલ્પલાઇન નંબર’ ૧૮૨’, જીઆરપી સિક્યુરિટી હેલ્પલાઇન નંબર ‘૧૫૧૨’ ની જાણકારી અપાશે.
ઉપરાંત ટ્રેનમાં મુસાફરી દરમિયાન સાવચેતી માટે લેવાના પગલા જેવા કે અજાણી વ્યક્તિ પાસેથી ખોરાક ન લેવો, આઇઆરસીટીસીના અધિકૃત સ્ટોલમાંથી જ ખોરાક લેવો, તેમના સામાનની કાળજી રાખવી સહિતની બાબતો અંગેની જાણકારી અપાશે.
આરપીએફના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ અમદાવાદ રેલવે સ્ટેશન પર મહિલા સ્કવોર્ડની રચના કરી દેવામા ંઆવી છે. દરેક વિભાગમાં એટલેકે અજમેર, જયપુર, કોટા, આગ્રા અને ઝાંસી વિભાગને મેસેજ દ્વારા ટ્રેનમાં સવાર મહિલાઓની વિગતો આપવામાંં આવશે. તેથી તેમના વિભાગમાં ટ્રેન પ્રવેશે ત્યારે એક ટીમ મહિલા મુસાફરોની મુલાકાત લઇને તેમની સુરક્ષા સુનિચ્છિત કરશે. મહિલા મુસાફર તેના ગંતવ્ય સ્ટેશને ઉતરે ત્યારે મુસાફરી અંગેની તેમની પ્રતિક્રિયા પણ લેવામાં આવશે.