



ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ બાબતે જિલ્લાના ચૂંટાયેલા ભાજપાના ધારાસભ્યોની વાત પણ સાંભળવામાં આવતી ન હોવાની ઉઠી બુમ
કેન્દ્ર અને રાજ્ય સરકારના ચાવવાના અને બતાવવાના દાંત જુદા હોવાની ભરૂચ જિલ્લાના ખેડૂતોમાં ફરિયાદ.
સરકારની કૃષિ નીતિની સામે અને ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા ભરૂચ જિલ્લાના ખેડૂતોને કરતા અન્યાય અંગે વારંવાર અવાજ ઉઠી રહ્યા છે પરંતુ સરકાર આ બાબતે સદંતર ચૂપકીદી સેવી રહી છે.
સરકાર ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવા માટે જ કામ કરતી હોવાના આક્ષેપો વારંવાર થઇ રહ્યા છે. ખાસ કરીને ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા ભરૂચ જિલ્લાના ૯૦થી પણ વધુ ગામોને D-2 કેટેગરીમાં મુકી દેવામાં આવ્યા છે. આ કાયદા મુજબ જો ખેડૂત જમીન વેચવા માગતો હોય તો ખેડૂત બિનખેતીની કરાવે કે પછી જે તે સ્થપતિ કરાવે તોપણ એની 40% જમીન સરકાર પોતાના હસ્તક લઈ લે. આ ખેડૂતોને પાયમાલ કરતો જ કાયદો છે. જ્યારે રાજ્યની તમામ નગરપાલિકાઓ ડી-4 કેટેગરીમાં આવતી હોય તો ફક્ત ભરૂચ જિલ્લાને કેમ એમાંથી બાકાત રાખવામાં આવ્યો છે એ વિચાર માંગી લે એવો પ્રશ્ન છે અને ખેડૂત સમાજમાં આ જ મુદ્દે ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે.
નોંધવાની બાબત તો એ છે કે ખેડૂત ધારો કે ૧૦ એકર જમીન ધરાવતો હોય અને એ બિનખેતીની જમીન તરીકે તબદીલ કરાવે તો ચાર એકર જમીન સરકાર લઈ લે અને બિલ્ડર પાસેથી એને ફક્ત છ એકર જમીનના જ પૈસા મળે. આ કાયદા અંતર્ગત જે ખેડૂત પેઢી દર પેઢીથી મહેનત કરતા આવ્યા છે એમને એમની મહેનતનું અને જતનનું ફળ નથી મળતું. બીજી તરફ બિલ્ડર પણ જ્યારે જો કોઈ જમીન લઈને બિનખેતીની જાતે કરાવે તો એને પણ આજ કાયદો લાગુ પડે છે. સરકાર એક તરફ ગરીબ અને મધ્યમવર્ગીય લોકો માટે સસ્તા આવાસ યોજનાની વાતો કરે છે પરંતુ આ કાયદા અંતર્ગત કોઈને પણ સસ્તા ભાવે મકાન આપવાનું બિલ્ડરને પોસાય એમ છે જ નહીં. આ કાયદાને લઇને ખેડૂતો અને બિલ્ડરો બંને વર્ગને તો નુકસાન છે જ સાથે પોતાનું ઘર બનાવવા ઈચ્છતા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે પણ ધર્મસંકટ છે. કારણ કે બિલ્ડર્સે મકાનના ભાવ વધારી દેવા પડે એમ છે.
આ અંગે વર્ષોથી ભરૂચ જિલ્લાના ખેડૂત સંગઠનો દ્વારા સરકાર વિરુદ્ધ લડત ચલાવવામાં આવી રહી છે પરંતુ સરકાર તરફથી કોઇ પ્રત્યુત્તર મળ્યો નથી. એક ખેડૂત અગ્રણીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે સહકાર મંત્રી અને સ્થાનિક ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ઉપરાંત ધારાસભ્ય દુષ્યંત પટેલે પણ આ અંગે ત્રણથી ચાર વાર મુખ્યમંત્રીને મળીને રજૂઆતો કરી છે પરંતુ સરકાર આ દિશામાં કોઈ જ પગલાં કેમ લેતી નથી એ એક મોટો પ્રશ્ન છે. ભરૂચ જિલ્લાને D-4 કેટેગરીમાં મુકવામાં આવે એવી અમારી માંગ છે જ અને આ દિશામાં અમે સંગઠનો દ્વારા એક થઈને સરકારને લડત આપતાં રહીશું.
એક તરફ જ્યારે વડાપ્રધાન ખેડૂતો સમૃદ્ધ બને એ માટેની વાતો કરતા હોય ત્યારે રાજ્ય સરકાર ભરૂચ જિલ્લાના ખેડૂતોને જાણે પાયમાલ કરવા માંગતી હોય એવું ચિત્ર ઉપસી રહ્યું છે. ભરૂચ જિલ્લાના ખેડૂતોને ન્યાય મળે એ બાબતે સરકારે ગંભીરતાપૂર્વક વિચારવું જોઈએ એવી પણ વ્યાપક માંગ સ્થાનિક લોકો ઉપરાંત ખેડૂત જગતમાં પ્રવર્તી રહી છે.