



ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક આવેલી પાનોલી જીઆઈડીસીની સિડની ફોર્મ્યુલેશન કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. જેમાં 5થી વધુ ફાયર ફાયટરોએ આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક જાણકારી મુજબ રસાયણિક પ્રક્રિયા દરમ્યાન આગ લાગી હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.
ગોડાઉન સુધી આગ પહોંચી હતી
અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલી સિડની ફોર્મ્યુલેશન કંપનીમાં રસાયણિક પ્રક્રિયા દરમિયાન એકાએક આગ ફાટી નીકળી હતી. ત્યારબાદ જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને હવામાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ભીષણ આગને કારણે કંપનીના ગોડાઉન સુધી આગ પહોંચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતા જ અંકલેશ્વર DPMC અને પાનોલીના 5થી વધુ ફાયર ટેન્ડર ઘટનાસ્થળે પહોચ્યા હતા.
દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં
ફાયર ફાયટરોએ પાણી તેમજ ફોર્મનો મારો ચલાવી લગભગ 1 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ તરફ અંકલેશ્વર તાલુકા પોલીસ, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અને સેફટી એન્ડ હેલ્થ વિભાગના અધિકારીઓની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઇ ન હતી. પરંતુ રાસાયણિક પ્રક્રિયા દરમ્યાન સ્પાર્ક થતા આગ લાગી હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.