



કેયુર પાઠક – અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં મામલતદાર દ્વારા ત્રણ એકમોને પોઇઝન લાયસન્સ રજુ ન કરતા કારણદર્શક નોટિસ ફટાકરી પોઇઝન લાયસન્સના આધાર પુરાવાઓ દિન-3 માં રજુ કરવા તાકીદ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ કલેક્ટર ની સૂચના મુજબ અંકલેશ્વર જીઆઇડીસી માં આવેલ કંપનીઓ ની તપાસ કરવા માટે અંકલેશ્વર મામલતદાર દ્વારા ટીમો બનાવવામાં આવી હતી ટીમ દ્વારા અંકલેશ્વર જીઆઇડીસી માં પ્લોટ નંબર 6701,6727 માં આવેલ પરફેક્ટ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ ,અને પ્લોટ નંબર 30 યોગી એસ્ટેટ ફેસ 2 માં આવેલ રાધે એન્ટરપ્રાઇઝ તેમજ પ્લોટ નંબર 233 માં આવેલ રાજદીપ ટ્રેડિંગ માં તપાસ દરમ્યાન પોઇઝન લાયસન્સ રજુ કરવાનું જણાવતા ત્રણેય એકમો એ રજુ કર્યું ન હતું અને આ એકમો દ્વારા પોઇઝન લાયસન્સ મેળવવામાં આવેલ છે કે કેમ ? તેમજ પોઇઝન લાયસન્સ મેળવવા ના કામે કાર્યવાહી કે અરજી કરેલ હોય તો જરૂરી દસ્તાવેજી આધાર પુરાવા ઓ દિન 3 માં મામલતદાર કચેરી ખાતે રજુ કરવા જણાવ્યું છે. અને જો તેમ કરવામાં વિલંબ થશે તો નિયમોનુસાર કાર્યવાહી કરવા અંગે કારણદર્શક નોટિસ ફટકારી છે.
નોંધનીય છે કે અમદાવાદમાં જ હાલમાં થોડા સમય પૂર્વે જ ગોડાઉનમાં લાગેલી આગના પગલે ગેરકાયદેસર રીતે જ્વલનશીલ અને ઝેરી રસાયણનો જથ્થો સંગ્રહ કરતા એકમો પર તવાઈ બોલાવવામાં આવી છે. આજ ઘટના એશિયાની સૌથી મોટી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ન ઘટે તેની તકેદારીના ભાગરૂપે ભરૂચ જિલ્લા કલેકટરની સુચના બાદ અંકલેશ્વર વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે. હજુ પણ આગામી દિવસોમાં આ કાર્યવાહી ચાલુ રહેશે જેને લઇને ગેરકાયદેસર રીતે આવા જોખમી રસાયણોનો સંગ્રહ કરતા ઇસમોમાં ફફડાટની લાગણી ફેલાઈ જવા પામી છે.