



પીરામણ ગામે માતા-પિતાની કબરની બાજુમાં જ પોતાની દફનવિધિની અહેમદ પટેલની ‘આખરી ખ્વાહિશ’
પિરામણ ગામ, ભરૂચ જિલ્લો, ગુજરાત અને કોંગ્રેસ ઘેરાશોકમાં ગરકાવ
કેયુર પાઠક – વ્યકિતની ઉપર સમાજ, સમાજની ઉપર રાષ્ટ્ર અને રાષ્ટ્રથી ઉપર કોઇ નથી : અહેમદ પટેલઅંકલેશ્વર તાલુકાના પીરામણ ગામે 21મી ઓગસ્ટ 1949માં ખેડૂત પિતા મહંમદભાઇ અને માતા હવાબેનની કૂખે જન્મેલા અહેમદ પટેલએ ભરૂચની જયેન્દ્રપૂરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાંથી બીએસસીની પદવી મેળવી હતી.
ક્રિકેટના અતિ શોખીન અહેમદ પટેલ અંકલેશ્વર જીમખાનાના પૂર્વ કેપ્ટન રહી ચુક્યાં છે. સૌથી નાની વયે તાલુકા પંચાયતની ચૂંટણી લડી અંકલેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા હતાં. પ્રથમ વખત જ ચૂંટણી લડી સૌથી નાની વયે ભરૂચમાંથી જીતી લોક સભામાં સાંસદ તરીકે ચૂંટાયા હતાં.
ભરૂચનું રાષ્ટ્રીય ફલક પર પ્રતિનિધિત્વ કરતા અને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીનાં રાજકીય સચિવ તેમજ રાજ્યસભાના સાંસદ અહેમદભાઈ પટેલ હંમેશા સાદગી ભર્યું જીવન જીવતા હતા. જમીનથી જોડાયેલા કોંગ્રેસના ચાણક્ય અને ગુજરાતના પનોતા પુત્ર તેમને મળેલા સન્માનના ખરા હકદાર ભરૂચ અને નર્મદા જિલ્લાની જનતાને જ ગણતા હતાં.
તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઈન્દિરા ગાંધી રાયબરેલીમાંથી ચૂંટણી હાર્યા, તે સમયે પ્રથમ વખત ચૂંટણી જીત્યા હોવા છતાં અહેમદભાઇએ ભરૂચની લોકસભાની સીટ પરથી રાજીનામું આપી ઈન્દિરાજી માટે જગ્યા ખાલી કરી આપવાની ઓફર કરી હતી. ઉચ્ચ કોટીની ત્યાગની ભાવના રાખનાર યુવા સાંસદે દરેકના હૃદયમાં સન્માનનીય સ્થાન મેળવી લીધું હતું. તેમણે નહેરૂ, ગાંધી પરિવાર સાથે આજીવન નિકટનો નાતો જાળવી રાખી રાષ્ટ્ર નિર્માણમાં અગત્યની ભૂમિકા ભજવી હતી.
ભરૂચ જિલ્લાના સર્વાંગી વિકાસમાં ઔદ્યોગિક, ખેડૂતલક્ષી, સામાજીક ક્ષેત્રે તેમણે કરેલા કામોની હારમાળા સર્જાઈ છે. દહેજનો પેટ્રોકેમીકલ ઉદ્યોગ, ખેડૂતો માટે ખાંડ ઉદ્યોગ જેવી કે ગણેશ સુગર, રેવા, પંડવાઈ સુગરની સ્થાપના કરી અંકલેશ્વરનો વિકાસ, ઓએનજીસીનો વિકાસ પણ તેમની દીર્ઘ દ્રષ્ટિને આભારી છે. ભરૂચને મળેલા કેબલબ્રિજની ભેટ પણ તેમના જ પ્રયાસોની દેન છે.
અહેમદભાઈ કાયમ જ કહેતા, વ્યકિતની ઉપર સમાજ અને સમાજની ઉપર રાષ્ટ્ર છે રાષ્ટ્રથી ઉપર કોઈ નથી. આજે આ રાષ્ટ્રીય નેતા અને પીરામણના પનોતા પુત્રની અણધારી વિદાયે માદરે વતન પીરામણ ગામ, ભરૂચ-નર્મદા જિલ્લા સહિત ગુજરાત અને સમગ્ર કોંગ્રેસને સ્તબ્ધ કરી ઘેરાશોકમાં વિલીન કરી દીધું છે.
રાષ્ટ્રીય નેતા અહેમદ પટેલના નિધન અંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા નાઝુ ફડવાલાએ જણાવ્યું હતું કે સમગ્ર ભરૂચ-નર્મદા જિલ્લો જ નહીં પરંતુ રાજ્ય અને રાષ્ટ્ર પણ તેમના નિધનથી એક આઘાતમાં સરી પડ્યાં છે. તેઓની અંતિમ ઇચ્છા હતી કે તેઓને તેમના મરહૂમ માતા પિતાની કબરની પાસે જ તેમના માદરે વતન પિરામણ ગામ દફનાવવામાં આવે. તેઓની અંતિમ ઇચ્છાને પૂર્ણ કરાશે અને સંપૂર્ણ સન્માન સાથે તેમની દફનવિધિ યોજાશે.
પીરામણ ગામે તેઓના નિવાસસ્થાને કોંગી અગ્રણી, ગ્રામજનો અને તેમના સ્વજનો ન પુરાય તેવી ખોટ અને વિલાપ સાથે ઉમટવાના શરૂ થઈ ગયા હતાં. તેઓની અંતિમ ખ્વાહિશ મુજબ પીરામણ ગામના જ કબ્રસ્તાનમાં તેમના માતા-પિતાની કબર પાસે તેઓની દફનવિધિની ઈચ્છા ને પુરી કરવા ભારે હૃદયે કબર ખોદવાની કામગીરી હાથ ધરાઈ છે. સંભવત તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેમના પાક દેહને દફનવિધિ માટે વતન પીરામણમાં લાવવામાં આવશે.