



– ‘ધ ઑર્ગેનાઈઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન’નું દોઢડહાપણ
– ‘તમારે ભારતના આંતરિક મામલામાં પડવાની જરૂર નથી’ : વિદેશ મંત્રાલયનો કડક શબ્દોમાં જવાબ, સંગઠનમાં જ વિવાદનો પાર નથી
આફ્રિકી દેશ નાઈઝરના પાટનગર નાએમેમાં 27થી 29 નવેમ્બર દરમિયાન ધ ઑર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (ઓઆઈસી)ની બેઠક મળી હતી. સંગઠનના તમામ 57 દેશોના વિદેશ મંત્રીઓ ત્યાં હાજર રહ્યા હતા.
એ બેઠકમાં કાશ્મીરમાં ભારતે ગયા વર્ષે હટાવેલી કલમ 370 સહિતના મુદ્દે ભારતની ટીકા કરવામાં આવી હતી. એ ઉપરાંત પાકિસ્તાનના દોરી-સંચારથી ભારતની ટીકા કરતો ખરડો પણ પસાર કરવામાં આવ્યો હતો.
ખરડામાં કહેવાયુ હતુ કે ઓઆઈસી કાશ્મીરમાં ભારતે લીધેલા ગેરકાયદેસર પગલાંની ટીકા કરે છે અને કાશ્મીરના સંઘર્ષમાં અમે કાશ્મીરીઓ સાથે છીએ. ભારતે આ ખરડા અંગે કડક શબ્દોમાં વિરોધ નોંધાવ્યો હતો.
વિદેશ મંત્રાલયે સીઆઈસીને તુરંત જાણ કરી હતી કે કાશ્મીર અમારો આંતરીક મામલો છે. તેમાં તમે જે કંઈ દખલ કરશો એ બિનજરૂરી અને તથ્યાત્મક રીતે ખોટું પગલું ગણાશે.
ઓઆઈસીની અગાઉની બેઠકોમાં પણ આ રીતે કાશ્મીરની જે-તે સ્થિતિ અંગે ભારતની ટીકાઓ થઈ હતી. એ વખતે પણ ભારતે વિરોધ નોંધાવ્યો હતો. આ વખતે ભારતે કહ્યું હતું કે ઓઆઈસીને કોઈ અધિકાર નથી કે એ કાશ્મીર મુદ્દે ચર્ચા કરે કે દખલ કરે. ભારત અન્ય દેશોના મામલામાં કોઈ ચંચૂપાત કરતું નથી.
આ સંગઠન સાઉદી અરબના જિદ્દાહમાં મુખ્યાલય ધરાવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે મુસ્લીમ દેશોનું પ્રતિનિધિત્વ કરવા માટેે સંગઠન છેક 1969માં સ્થપાયું હતું. પણ એ સંગઠનમાં જ વિવાદનો પાર નથી. કેમ કે કોઈ દેશ બીજાને મોટા થવા દેવા માગતો નથી. ઈસ્લામિક દેશોમાં જ વિવાદ હોવાથી સંગઠનની બેઠક ખાયા-પીયા પ્રકારની થઈ રહે છે.