



– ઘણા વાલીએ જુનથી ફી જ ભરી નથી અને સ્કૂલને કોઈ જાણ કરતા ન હોવાની સંચાલક મંડળની ફરિયાદ
જે વાલીઓએ જુનથી સ્કૂલ ફી જ ભરી નથી અને સ્કૂલને ફી ભરવા મુદ્દે કોઈ જાણ પણ કરતા નથી કે ફી ભરવા જ નથી માંગતા તેવા વાલીઓના બાળકોને હવે ઓનલાઈન શિક્ષણ નહી આપવા સ્કૂલ સંચાલક મંડળે નિર્ણય કર્યો છે.બીજી બાજુ વાલી મંડળે વિરોધ નોંધાવ્યો છે.
ગુજરાત સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ મેનેજમેન્ટ એસોસિએશનની ફરિયાદ છે કે ઘણા વાલીઓએ છેલ્લા છ મહિનાથી ફી જ ભરી નથી ઉપરાંત તેઓ સ્કૂલે મળવા પણ નથી આવતા કે સ્કૂલમાં ફી ક્યારે ભરશે અને ભરશે કે નહી તે પણ જાણ કરતા નથી.
જેથી આવા વાલીઓના બાળકો માટે ઓનલાઈન શિક્ષણ બંધ કરવામા આવશે. અત્યાર સુધી ફી ન ભરનારા વાલીઓ જો 15 ડિસેમ્બર સુધી સ્કૂલમાં મેનેજમેન્ટને મળવા નહી આવે કે રજૂઆત પણ નહી કરે તો તેમના બાળકોનું ઓનલાઈન શિક્ષણ બંધ કરી દેવાશે.
સરકારના ઠરાવ મુજબ વાલીએ ફી ન ભરવા મુદ્દે પણ સ્કૂલમાં રૂબરૂ આવીને લેખીત રજૂઆત કરવાની છે. જે વાલીઓ ફી નહી ભરી શકવા મુદ્દે રજૂઆત કરી છે તેમના બાળકોનું ઓનલાઈન શિક્ષણ ચાલુ રહેશે. પરંતુ ઘણા વાલીઓ મળવા નથી આવતા કે ફોનથી પણ જાણ નથી કરતા. જ્યારે બીજી બાજુ સ્કૂલ સંચાલક મંડળના આ નિર્ણયનો વાલી મંડળે વિરોધ કર્યો છે.આ મુદ્દે વાલી મંડળ સરકારને પણ રજૂઆત કરશે.