



– બીએસએફના 56મા સ્થાપના દિવસે જ પાક. ફાયરિંગમાં સબ-ઈનસ્પેક્ટર શહીદ
– 19મી નવેમ્બરે નગરોટામાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે ભીષણ સંઘર્ષ થયો હતો
પાકિસ્તાનને ભારે નુકસાન પણ વિગતો જાહેર કરતું નથી : શ્રીનગરમાં આતંકીનું નાગરિક પર ફાયરિંગ
(પીટીઆઈ) નવી દિલ્હી/જમ્મુ,
જમ્મુ પાસેના નગરોટામાં 19મી નવેમ્બરે આતંકીઓ અને ભારતીય સુરક્ષા દળો વચ્ચે ભીષણ સંઘર્ષ થયો હતો અને તેમાં જૈશના ચાર આતંકીઓ ઠાર મરાયા હતા. એ પછીના સર્ચ ઓપરેશન દરમિયાન બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ)ને પાકિસ્તાનથી આવતી ટનલ મળી આવી હતી.
બીએસના અધિકારીઓએ જણાવ્યું હતું કે ટનલનો ભારત તરફનો છેડો મળ્યા પછી અમે સામો છેડો શોધવા તેમાં ઉતર્યાં હતા. સામો છેડો ઈન્ટરનેશનલ બોર્ડરની પેલે પાર હતો. સામે છેડે નીકળ્યા ત્યારે અમે પાકિસ્તાની ભૂમિમાં 200 મીટર અંદર સુધી પહોંચી ગયા હતા. આ માહિતી બીએસએફના અધિકારીઓએ હવે જાહેર કરી હતી.
દરમિયાન પાકિસ્તાન તરફથી સતત ફાયરિંગ અને સિઝ-ફાયર વાયોલેશન ચાલુ જ છે. તેના પરિણામે આજે પૂંચ જિલ્લામાં લાઈન ઓફ કન્ટ્રોલ પર બીએસએફના એક સબ-ઈનસ્પેક્ટર શહીદ થયા હતા. 1લી ડિસેમ્બર બીએસએફનો 56મો સ્થાપના દિવસ હતો, ત્યારે ઈન્સ્પેક્ટર શહીદ થવાની દુ:ખદ ઘટના નોંધાઈ હતી.
નવેમ્બર દરમિયાન પાકિસ્તાની આતંકથી કુલ પંદર મોત નોંધાયા છે, જેમાં નવ સુરક્ષા દળોના જવાનનો પણ સમાવેશ થાય છે. ભારત તરફથી થતા પ્રચંડ વળતા પ્રહારમાં પાકિસ્તાનને પણ ભારે નુકસાન થાય છે, ચોકીઓ ઉડી જાય છે અને આતંકીઓ પણ મરાય છે. પરંતુ પાકિસ્તાન તેની વિગતો જાહેર કરતું નથી. દરમિયાન શ્રીનગર પાસેના સૌરામાં આજે એક નાગરિક આતંકીના ફાયરિંગથી ઘાયલ થયો હતો.
24 વર્ષિય નદિફ ખાન પર આતંકીઓએ સાંજે સવા સાત આસપાસ ગોળીબાર કર્યો હતો. તેમાં એ ઘાયલ થતાં તુરંત હોસ્પિટલેે ખસેડવામાં આવ્યો હતો. પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સરહદ અને એલઓસી પર આ વર્ષે અત્યાર સુધીમાં 4100 વખત સિઝફાયર વાયોલેશન કર્યું છે. ફાયરિંગ અને મોર્ટારમારાની આ ઘટના દાયકામાં સૌથી વધુ છે.
19 નવેમ્બરે જૈશના ચાર આતંકીઓ ઠાર કર્યા પછી ભારતીય જવાનોએ સર્ચ ઓપરેશનમાં મોટી સંખ્યામાં વિસ્ફોટકો અને અન્ય ઘાતક સામગ્રી શોધી કાઢી હતી. એ દરમિયાન જ તેમને ટનલનું મુખ મળ્યું હતું. સામા છેડે પહોંચીને ટનલ પાકિસ્તાની ધરતી પર છે, તેના ફોટા-વીડિયો પણ બીએસએફ દ્વારા પુરાવા તરીકે લેવાયા હતા. પાકિસ્તાની સેનાને તેની કોઈ જાણકારી પણ મળી ન હતી.
પાકિસ્તાની આતંકીઓ દ્વારા ચીની બનાવટના ડ્રોનનો વ્યાપક ઉપયોગ
પાકિસ્તાની આતંકીઓ, આતંકીઓને સહાય કરતા પાકિસ્તાની લશ્કર અને પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈ દ્વારા હવે ચીની ડ્રોનનો વ્યાપક ઉપયોગ શરૂ કરી દેવાયો છે. પાકિસ્તાનને ચીન પાસેથી મોટા કદના ડ્રોન મળી રહ્યા છે. આ ડ્રોનનો ઉપયોગ હથિયાર સહિતની સામગ્રી સ્મગલ કરવા માટે થાય છે. ક્યારેક આવા ડ્રોન પકડી પડાય છે, તો ક્યારેક ભારતીય સુરક્ષાદળો દ્વારા તોડી પડાય છે.
રાજ્ય કક્ષાના કેન્દ્રિય મંત્રી નિત્યાનંદ રાયે આજે કહ્યું હતું કે પાકિસ્તાન ઘાંઘુ થયું છે. ટનલ મળી આવી, સતત ડ્રોન ઝડપાઈ રહ્યા છે, એ પાકિસ્તાનના પેટમાં ચૂંક ઉપડી હોવાનો પુરાવો છે. તેઓ બીએસએફના 56મા સ્થાપના દિવસે સંબોધી રહ્યા હતા. આઈએસઆઈ વર્ષોથી નાના હથિયારોની હેરાફેરી માટે ડ્રોન વાપરે જ છે, પણ હવે તેણે ચીની બનાવટના મોટા ડ્રોન વસાવ્યા છે, એવો રિપોર્ટ ભારતની ઈન્ટેલિજન્સ એજન્સીઓએ તૈયાર કર્યો હતો.