



દહેજમાં યુપીએલ-12 કંપની સામે આજે પણિયાદરા અને પાદરિયા ગામના લોકોએ જળઆંદોલન કર્યું હતું. પાણીની સમસ્યા દુર કરવા કંપનીના ગેટ સામે બંને ગામના 4 હજારથી વધુ લોકોએ એકત્ર થઇ સુત્રોચ્ચાર કર્યાં હતાં. અંદાજે સાડાપાંચ કલાક સુધી ચાલેલા આંદોલનને પુરૂ કરવા પોલીસ દ્વારા સમજાવવા જતાં પોલીસ પર પથ્થરમારો થતાં પોલીસે હળવો લાઠીચાર્જ કરી ટીયર ગેસના બે સેલ છોડી ટોળાને વિખેર્યો હતો. ઘટનામાં પોલીસે 30 શખ્સો સામે રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. જ્યારે અન્ય 30 લોકોની જાહેરનામાભંગની કલમ હેઠળ અટકાયત કરી હતી.
વાગરા તાલુકામાં આવેલાં પણિયાદરા અને પાદરિયા ગામથી 4 કીમી દુર જ નિર્માણ પામેલી યુપીએલ 12 કંપની દ્વારા ગામમાં સીએસઆર ફંડમાંથી પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવશે. તેવી બાંહેધરી મળી હતી. અરસામાં બન્ને ગામોને મળતું પાણી કંપની દ્વારા બંધ કરી દેવાતાં ગ્રામજનોએ તેનો ઉગ્ર વિરોધ નોંધાવી 400થી વધુ ગ્રામજનોએ કંપનીના ગેટ સામે એકત્ર થઇ આંદોલન શરૂ કર્યું હતું. સવારે 9 વાગ્યાથી બેસેલાં ગ્રામજનોએ કંપની વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યાં હતાં. જોકે, તેઓ આંદોલન કરવાના હોવાની જાણ હોઇ પહેલેથી જ સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો.
પોલીસે બપોર સુધી આંદોલનકર્તા સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. આખરે આંદોલનના સાડાપાંચ કલાક બાદ પોલીસે તેમને ત્યાંથી હટી જવા કહેવા જતાં પોલીસપર પથ્થરમારો થયો હત. જેના પગલે પોલીસે હળવો લાઠીચાર્જ કરતાં દોડધામ મચી ગઇ હતી. ટોળાના પથ્થરમારામાં બે પોલીસકર્મીઓ ઘવાયાં હતાં. જ્યારે એક સરકારી વાહનને નુકશાન થયું હતું.
જેના પગલે પોલીસે ટોળાને વિખેરવા હવામાં ટીયરગેસના બે સેલ છોડ્યાં હતાં. ઘટનામાં પોલીસે 30 લોકો સહિત 400ના ટોળા સામે રાયોટિંગ તેમજ પોલીસકર્મી પર હૂમલો અને વાહનને નુકશાન સહિતની કલમો હેઠળ જ્યારે અન્ય 30 લોકોની જાહેરનામાભંગની કલમ હેઠળ અટકાયત કરી હતી.
પથ્થરમારો થતાં ટીયરગેસના સેલ છોડ્યાં
વિરોધકર્તાઓ સવારના 9 વાગ્યાના કંપની સામે ધરણાં પર બેઠાં હતાં. બપોરના 2.30 વાગ્યા સુધી તેમને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. છતાં તેઓ નહીં માનતાં તેમને ત્યાંથી ખસેડવાનો પ્રયત્ન કરતાં પોલીસ પર પથ્થરમારો કરાયો હતો. જેના પગલે પોલીસે ટીયર ગેસના 2 સેલ હવામાં છોડી ટોળાને વિખેર્યો હતો. કુલ 60 લોકો સામે બે ગુના નોંધાયાં છે- અનિરૂદ્ધસિંહ ગોહિલ, પીઆઇ, દહેજ.
પ્રાથમિક સુવિધાઓ આપવાનું વચન કંપનીએ પાળ્યું નહીં
ગ્રામજનોએ કંપનીએ પ્રાથમિક સુવિધાનું વચન પાળ્યું ન હોવાનું જણાવ્યું હતું. પણિયાદરા પ્રાથમિક શાળાના શેડના લોકાર્પણ વખતે કંપનીએ ગામમા પાણી આપવાનું જણાવ્યું હતું. પરંતુ લોકડાઉનમાં કામ ખોરંભે પડ્યું હતું.રજૂઆતો કરવા જતાં પાણી આપવાનો ઇન્કાર કરતા લોકોએ ધરણા કર્યા હતા.
કંપનીએ 6 દિવસ પહેલાં 3 જણા સામે ફરિયાદ નોંધાવી હતી
પણિયાદરા-પાદરિયા ગામમાંથી પસાર થતી યુપીએલ 12ની જીઆઇડીસીમાંથી આવતી પાણીની લાઇનમાં બંને ગામના લોકોએ જોડાણ કરી લેતાં કંપનીએ કાપવા જણાવ્યું હતું.તેમ ન કરી કંપની સત્તાધીશોને ધમકી આપી હોવાના આરોપસર 3 શખ્સો સામે કંપનીએ ફરિયાદ નોંધાવી હતી.
વિરોધકર્તાઓના કોવિડ ટેસ્ટ કરાશે
યુપીએલ 12 કંપનીના ગેટ સામે કોવિડ-19ની ગાઇડ લાઇનનું પાલન કર્યા વિના લોકોનું ટોળું એકત્ર થતાં પહેલાં 30 જણાની જાહેરાનામાના ભંગ બદલ અટકકરી હતી.જોકે બાદમાં લોકોએ હંગામો કરતાં વધુ 30 જણાની રાયોટિંગના ગુનામાં ધરપકડ કરી હતી.વિરોધકર્તાઓ સામે કાયદેસરની કાર્યવાહી પહેલાં તેમના કોવિડ-19ના ટેસ્ટ કરવામાં આવશે.