



રાજ્યની કદાચ પ્રથમ એવી સોસાયટી હશે જેણે પોતાનું કોવિડ સેન્ટર ઊભું કર્યું છે. અંકલેશ્વરની અંબે ગ્રીસ સોસાયટીમાં 300 મકાનો આવેલાં છે. આ સોસાયટીમાંથી અત્યારસુધી 14 લોકોને કોરોના પોઝિટીવનો રિપોર્ટ આવ્યો હતો. જે બાદ શહેર-જિલ્લાની કોવિડ હોસ્પિટલમાં બેડની અસુવિધા થતાં સોસાયટીનાં રહીશોએ આખરે આરોગ્યની તમામ સુવિધાથી સજ્જ પોતાનું જ 3 બેડનું કોવિડ સેન્ટ ઊભું કરી દીધું હતું. આ કોવિડ સેન્ટરમાં અત્યારસુધી 2 દર્દીને સારવાર આપી છે. જેના માટે સોસાયટીમાં રહેતા તબીબ સેવા પુરી પાડી રહ્યા છે.
સોસાયટીમાં રહેતા 1500 થી વધુ લોકો માટે આ કોવિડ સેન્ટર આશિર્વાદરૂપ બન્યું છે. આ કોવિડ સેન્ટર માટે કોઈએ બેડ તો કોઈએ દવાનો ખર્ચ, ઓક્સિજનની સુવિધાની જવાબાદારી સંભાળી લીધી છે. દર્દી માટે ટીવીની સુવિધા પણ કરવામાં આવી છે. દર્દીઓ પરિવારની નજીક જ રહી સારવાર મેળવી શકે તેવી વ્યવસ્થા અન્ય લોકો માટે પ્રેરણાદાયી બની રહી છે. ઘણી હોસ્પિટલોમાં કોરોના ગ્રસ્ત દર્દીઓને બેડ ન મળતાં હોવાના કારણે સોસાયટીના પ્રમુખ અને અન્ય સભ્યોને ચર્ચા કરી સોસાયટીમાં જ કોવિડ કેર સેન્ટર ઊભું કરી દીધું છે.
તમામ ખર્ચ સોસાયટીના ફંડમાંથી જ થાય છે
સોસાયટીમાં જે દર્દીઓ આવતા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાતાં બેડ નહીં મળવાની સમસ્યા નડતી હતી. જે બાદ સોસાયટીના ગેસ્ટ હાઉસમાં ત્રણ બેડનું સારવાર સેન્ટર શરૂ કર્યું છે. સોસાયટીમાં કુલ 14 દર્દી હતા. તેમાં 12 લોકોને હોમ આઈસોલેટ કર્યા હતા. અત્યાર સુધી 2 દર્દીની આ કોવિડ સેન્ટરમાં સારવાર કરી છે. ઓક્સિજનની સુવિધા પણ અહીં ઉપલબ્ધ છે. તમામ ખર્ચ સોસાયટીના ફંડમાંથી જ કરવામાં આવે છે. સોસાયટીના રહીશો જાતે જ ખર્ચ ઉપાડે છે. નિંઃશુલ્ક સેવા પુરી પાડવામાં આવે છે. – હિતેશ વશી, સોસાયટી પ્રમુખ
દર્દીની સંપૂર્ણ તકેદારી રાખવામાં આવે છે
કોવિડની ગાઈડલાઈન મુજબ જે દવાની દર્દીની જરૂર પડે તે મુજબ સારવાર કરવામાં આવે છે. દર્દીની સંપૂર્ણ તકેદારી રાખવામાં આવે છે. વધુ ક્રિટિકલ જણાય અને વેન્ટિલેટરની જરૂર પડે તો જ અમે અન્ય હોસ્પિટલમાં રિફર કરીએ છીએ. – ડો. હરેશ શાહ