



વટારીયા સુગરમાં ગેરવહીવટના અનેક આક્ષેપો થયા હતા
કેયુર પાઠક – રાજીનામું આપનાર ચેરમેન સંદીપ માંગરોલાએ વાઇસ ચેરમેન કરસન પટેલ હંગામી ચેરમેન તરીકે નિમણૂક કરી
વટારીયા સુગર ફેક્ટરીના ચેરમેન સંદીપ માંગરોલાએ આખરે તારીખ 4 ડિસેમ્બરના રોજ ચેરમેનપદેથી રાજીનામું આપી દેતા ખળખળાટ ફેલાઈ જવા પામ્યો છે. સંદીપ માંગરોળા આ પગલા સંદર્ભે એક પત્રકાર પરિષદનું આયોજન કરશે અને હકીકતથી વાકેફ કરશે એમ જાણવા મળ્યું છે. દરમિયાન હંગામી ચેરમેન તરીકે તેમણે વાઇસ ચેરમેન કરસન પટેલની નિમણૂક કરી છે.
નોંધનીય છે કે અંકલેશ્વર સહિત ભરૂચ, વાલીયા, ઝઘડીયા અને કોસંબા તાલુકાના શેરડી ઉત્પાદકોને પણ સાંકળી લેતી વટારિયા સુગર ફેક્ટરીના ચેરમેનપદેથી સંદીપ માંગરોલાએ શુક્રવારના રોજ રાજીનામું ધરી દીધું છે. આમ પણ કેટલા વખતથી ગણેશ સુગર બચાવ સંઘર્ષ સમિતિ દ્વારા વટારીયા સુગર ફેક્ટરીમાં ચાલતા ગેરવહીવટ અંગે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવી હતી અને તપાસ સમિતિ પણ નિમાઈ હતી, જેમાં વહીવટકર્તા ચેરમેન સંદીપ માંગરોલા સહિત અન્યો સામે પણ ગુજરાત રાજ્ય નિયામક દ્વારા કડક કાર્યવાહી કરાઈ હતી. આવનારા દિવસોમાં વટારીયા સુગરમાં ચૂંટણી અંગે પણ હાલ હાઇકોર્ટ સહિત તમામ જગ્યાએ સુનાવણી ચાલી રહી છે. આ કશ્મકશની પરિસ્થિતિ વચ્ચે જ શુક્રવારના રોજ ચેરમેન સંદીપ માંગરોલાએ રાજીનામું ધરી દેતાં અનેક અટકળો વહેતી થઇ છે. સંદીપ માંગરોલાએ રાજીનામુ ધરી દઈ હંગામી વહીવટ માટે વાઇસ ચેરમેન કરસન પટેલની નિમણૂંક કરી છે.
આ અંગે સંદીપ માંગરોલાએ જણાવ્યું હતું કે હાલ આ બાબતે કોઈ ટીપ્પણી કરવી નથી પરંતુ ટૂંક સમયમાં લોકો સમક્ષ હકીકત બયાન કરવામાં આવશે. જોકે સંદીપ માંગરોલાએ પોતે સોશિયલ મીડિયા ઉપર જણાવ્યું છે કે કેટલાંક જૂથો મને બદનામ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે આ સંજોગોમાં હોદ્દા ઉપરથી રાજીનામું આપવું જ મને યોગ્ય લાગ્યું છે. આવનારા દિવસમાં યોજાનારી ચૂંટણીમાં લોકચુકાદો જે પણ હશે એનું સન્માન કરવામાં આવશે.
વટારીયા સ્થિત ગણેશ સુગરના ડિરેકટર અને વહીવટકર્તાઓ સામે બાંયો ચઢાવનાર હેતલ પટેલે જણાવ્યું હતું કે આ સત્યનો વિજય છે. ગેરવહીવટ બદલ ચેરમેને રાજીનામું આપવાની ફરજ પડી છે. આવનાર દિવસમાં ચૂંટણી અંગે તેમજ અન્ય પાસાઓ બાબતે સરકાર, નિયામક અને કોર્ટ શું પગલાં લે છે એ જોવું રહ્યું.