



ખાસ કરીને વયસ્ક લોકો માટે વેક્સિન ઉપલબ્ધ કરાવવા માટે નગરપાલિકા તંત્ર કટિબદ્ધ…
એક તરફ કોરોનાવાયરસ ફરી એકવાર પોતાનું માથું ઉચકી રહ્યો છે ત્યારે અંકલેશ્વર નગરપાલિકાએ પણ પોતાની રીતે ડોર ટુ ડોર સરવે શરૂ કરી દીધો છે.
કેયૂર પાઠક – અંકલેશ્વર નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા સોસાયટી વિસ્તાર કે પછી ફળિયા વિસ્તાર સહિત તમામ રહેણાંક વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી સરવેની પ્રક્રિયા ચાલી રહી છે. ખાસ કરીને જે કોરોનાવાયરસથી બચવા માટે જે સિનિયર સિટીઝન છે એમને વિશેષરૂપે વેક્સિન આપવામાં આવે એવી પણ જોગવાઈ રખાઈ છે.
આ પ્રક્રિયા અંગે અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવલાલ કોલડિયાએ જણાવ્યું હતું કે ૨૫ ટકા જેટલી કામગીરી પૂર્ણ થઇ ગઇ છે અને આગામી ચાર દિવસમાં સમગ્ર અંકલેશ્વર નગરપાલિકા હદ વિસ્તારમાં સરવેની કામગીરી પૂર્ણ થઇ જશે. જોકે લોકો પણ સાથ આપે તો આ પ્રક્રિયા સુગમ બને.
મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના કેટલાક વિસ્તારો એવા પણ છે કે જ્યાં સરવે માટે ટીમ જતી હોય તો લોકો તરફથી સહકાર મળતો નથી પરંતુ લોકો પણ આ બાબતે જાગૃત બને એ જ ઇચ્છનીય છે. કારણ કે નગરપાલિકા દ્વારા મોકલાતી ટીમ માત્ર સર્વે માટે આવે છે વેક્સિન આપવા માટે નહીં. જનતા પણ એટલું સમજે છે કે પોતાનો જીવ બચશે તો પરિવારનો અને સમાજનો પણ જીવ બચશે.