



નેત્રંગમાં એસટી બસસ્ટેન્ડના નિમૉણકાયૅ માટે મુખ્યમંત્રી કાયૅવાહી કરે તેવી માંગ
ચાર-પાંચ વખત સવૅ કરવા છતાં પરિણામ શુન્ય,ગેસ્ટહાઉસની જગ્યા ઉપર એસટી બસસ્ટેન્ડ બની શકે છે
નેત્રંગમાં એસટી બસસ્ટેન્ડના નિર્માણ કાર્ય માટે મુખ્યમંત્રી કાયૅવાહી કરે તેવી માંગ ઉઠી છે
દિવ્યાંગ મિસ્ત્રી – ભરૂચ જીલ્લાના વાલીયા-ઝઘડીયા તાલુકામાંથી ૭૬ ગામો અલગ પાડી મોદી સરકારે નવો નેત્રંગ તાલુકો બનાવ્યા બાદ જ કરોડો રૂપિયાના ખચૅ દિવ્યભવ્ય તાલુકા સેવાસદન, તા.પંચાયત, સામુહીક આરોગ્ય કેન્દ્ર, મહિલા આઇટીઆઇ અને પોલીસ સ્ટેશનના મકાનનું નિર્માણ કરતાં ગરીબ પ્રજામાં આનંદ વ્યાપી ગયો હતો.
ગુજરાત પરિવહન વિભાગ ધ્વારા નેત્રંગ તાલુકા મથકે અત્યાઆધુનિક સુવિધાઓથી સજ્જ એસટી બસસ્ટેન્ડ બનાવવાની મંજુરી આપી હતી. જેના માટે ૨.૫૦ થી ૩ કરોડ રૂપિયાની વહીવટી મંજુરી મળ્યાના અહેવાલ મળ્યા છે. પરંતુ નેત્રંગ તાલુકા બન્યાના આઠ વષૅ બાદ પણ જગ્યાના અભાવે એસટી બસસ્ટેન્ડના નિમૉણની કામગીરી અટકી પડી છે. ગુજરાત પરિવહન વિભાગના અધિકારીઓએ એસટી બસસ્ટેન્ડના નિમૉણની જગ્યા માટે નેત્રંગમાં અનેકો વખત સવૅ કરાયું હતું. પરંતુ યોગ્ય જગ્યા નહીં મળતા પરિણામ શુન્ય રહ્યું હતું.
જેમાં મુખ્યત્વે નેત્રંગ-અંકલેશ્વર રોડ ઉપર આવેલ અને ચારરસ્તાને સમાંતર જ જીલ્લા પંચાયત હસ્તકના ગેસ્ટહાઉસના ટેકરાને તોડી રસ્તા જેટલું લેવલ કરીને એસટી બસસ્ટેન્ડનું નિમૉણ માટે એસટી વિભાગના જવાબદાર અધિકારીઓ ધ્વારા સવૅ કરાતાભ બસ સ્ટેન્ડના નિમૉણ માટે જગ્યા પસંદ આવી હતી. ગેસ્ટહાઉસની જગ્યા ઉપર બસ સ્ટેન્ડના નિમૉણકાયૅથી બાજુમાં જ તાલુકા સેવાસદન, તા.પંચાયત અને પો.સ્ટેશન અને સામુહિક આરોગ્ય કેન્દ્ર આવેલ છે. જ્યાં દરરોજ મોટીસંખ્યામાં લોકોની અવરજવર રહે છે. જ્યારે અંકલેશ્વર, ડેડીયાપાડા અને સુરતને જોડતો નેત્રંગ ચારરસ્તા ઉપરથી પસાર થાય છે. જેથી એસટી બસસ્ટેન્ડના નિમૉણથી લોકો બસ પકડી સમયસર ઘરે પરત ફરી શકે છે.
આ બાબતે એસટી વિભાગના અધિકારીઓ અને જવાબદાર નેતાઓને વારંવાર રજુઆતો કરવામાં આવી હતી. પરંતુ કોઇપણ પ્રકારની કાયૅવાહી નહીં કરાતા આખરે પરિણામ શુન્ય રહ્યું છે. જેની વિપરીત અસર મુસાફરો ઉપર પડતા બારે માસ ગરમી, ઠંડી અને વરસાદી પાણીમાં બસની રાહ જોવા મજબૂર બન્યા છે. તેવા સંજોગોમાં જવાબદાર નેતાઓ નેત્રંગમાં ગેસ્ટહાઉસની જગ્યા ઉપર એસટી બસસ્ટેન્ડનું નિમૉણ થાય તે માટે કમરકસે તે લોકહિત માટે અત્યંત જરૂરી છે. જ્યારે ગેસ્ટહાઉસને ૨૦ વષૅથી ખંડેર હાલતમાં પડેલ તરફ ખસેડી શકાય છે.
ઉલ્લેખનીય છે કે, ૧૨ ડિસેમ્બર રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વાલિયા ખાતે પાણી-પુરવઠા ૬ જેટલી યોજનાના ખાતમુહૂર્ત માટે આવનાર છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી નેત્રંગ તાલુકા મથકે દિવ્યભવ્ય એસટી બસસ્ટેન્ડના નિમૉણની કામગીરી શરૂ થાય તે માટે જવાબદાર અધિકારીઓને સુચના આપે તેવી લોકમાંગ ઉઠી છે.