



વિપક્ષના નેતા અને ઉપનેતાએ ઉચ્ચ કક્ષાએ કથિત કૌભાંડની રજૂઆત કરી…
કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલયથી લઇ ઓએનજીસીના ચેરમેન સુધી રજુઆત કરાઈ…
કેયૂર પાઠક – અંકલેશ્વર નગરપાલિકામાં ઓએનજીસીમાંથી મળેલા રૂ. ૩૬ લાખના સી.એસ.આર ફંડના ખર્ચના મુદ્દે ભારે અફરાતફરી મચી છે જેમાં વિરોધ પક્ષના નેતા અને ઉપનેતાએ ગાંધીનગરથી લઈ દિલ્હી સુધી રજૂઆત કરીને તપાસની માંગ કરી છે. આ કૌભાંડમાં ઓએનજીસીની પણ સંડોવણી હોવાની આશંકા છે.
કોરોનાવાયરસના સમયગાળા દરમિયાન અંકલેશ્વર ઓએનજીસી દ્વારા નગરપાલિકાને રૂ. 36 લાખનું સીએસઆર ફંડ આપવામાં આવ્યું હતું જેમાંથી માસ્ક, સેનેટાઈઝર અને હેન્ડ ગ્લોવ્ઝ સહિત ૨૦ હજાર કીટની ખરીદી કરવામાં આવી હતી. ઓએનજીસી દ્વારા આપવામાં આવેલા સીએસઆર ફંડની રકમ માંથી જ કરાયેલી 20000 કીટની ખરીદીમાંથી 14000 કીટ પરત ઓએનજીસીને આપી દેવામાં આવી હતી આ મુદ્દો પણ એક વિચાર માંગી લે એવો મુદ્દો છે. કેમકે ઓએનજીસી પોતે એટલું સક્ષમ અર્ધસરકારી એકમ છે કે એ પોતે જ ખરીદી કરી શકે છે તો નગરપાલિકાને સીએસઆર ફંડ આપ્યું હોવાનું બતાવીને એમાંથી જ 14000 કીટ પોતે લઈ લેવા પાછળનું કારણ શું? આમાં પણ ઓએનજીસીના મોટા અધિકારીઓની સંડોવણી ચર્ચાનો વિષય બની છે. વધુમાં આ કીટ કેન્દ્ર સરકાર દ્વારા નિયત કરેલા સેનેટાઈઝર અને માસ્કના ભાવોથી પણ વધુ ભાવ ચૂકવીને કરવામાં આવી હોવાનો આક્ષેપ વિપક્ષી નેતા અને ઉપનેતા દ્વારા કરાયો છે.
નોંધનીય છે કે અગાઉની બોર્ડ મિટિંગમાં પણ વિપક્ષી નેતા ભુપેન્દ્ર જાની અને ઉપનેતા શરીફ કાનુગા દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવતાં જ બોર્ડ મિટિંગનું વાતાવરણ એકદમ ગરમાઈ ગયું હતું. આ મુદ્દે ભારે તડાફડી સત્તાપક્ષ અને વિપક્ષી નેતા તેમજ ઉપનેતા વચ્ચે ચાલી હતી.
આ અંગે નગરપાલિકાના વિપક્ષના નેતા ભુપેન્દ્ર જાનીએ જણાવ્યું હતું કે ઓએનજીસીના સી.એસ.આર ફંડના નામે ઘણું મોટું કૌભાંડ થયું છે જેની વિજિલન્સ તપાસ થવી જોઇએ અને આ જ મુદ્દે અમારી લડત છે. આ અંગે ઓએનજીસીના ચેરમેન, દેહરાદૂન તેમજ નવી દિલ્હી પેટ્રોલિયમ મંત્રાલયના મંત્રી તેમજ સેક્રેટરી, ઉપરાંત અંકલેશ્વરના એસ્ટેટ મેનેજરને પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
જોકે એક બાબત નોંધનીય છે કે આ બોર્ડ મિટિંગમાં આ કથિત કૌભાંડ મુદ્દે વિપક્ષી નેતા અને ઉપનેતા એકલા પડી ગયા હતા અને અન્ય વિપક્ષી સભ્યોએ સત્તાપક્ષને સમર્થન આપી દીધું હતું. આ મુદ્દે એમ લાગ્યું હતું કે વિપક્ષી સભ્યો અને સત્તાપક્ષના સભ્યો એક જ થઈ ગયા હતા.
હવે આ અંગે ગાંધીનગર અને દિલ્હી સુધી રજૂઆત થઈ છે ત્યારે આગામી દિવસમાં ઘીના ઠામમાં ઘી પડી રહે છે કે પછી કસૂરવારો સામે પગલાં લેવાય છે એ જોવું રહ્યું.