



- જીએસટી ચોરી રોકવા બે રિટર્ન ફાઇલ ન કરનારાના નંબર પણ રદ થઈ શકે છે
ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી)એ બોગસ બિલથી ક્રેડિટ લેનારાને રોકવા છેલ્લા છ મહિનાથી રિટર્ન નહીં ભરનારા 1.40 લાખ કરદાતાના જીએસટી નંબર રદ કર્યા છે. જેમાં રાજ્યના અંદાજે 40 હજાર કરદાતાનો સમાવેશ થાય છે. ટૂંક સમયમાં જે કરદાતાઓના બે રિટર્ન બાકી છે તેઓના નંબર પણ રદ કરવાની કવાયત હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે.
સમગ્ર દેશમાં 1.35 લાખ જેટલા નંબર રદ કરાયા
તાજેતરમાં નાણામંત્રાલય પરિપત્ર કરીને દરેક કરદાતાને જાણ કરી હતી કે, જે કરદાતાના બેથી વધારે જીએસટી રિટર્ન ભરવાના બાકી હશે તેમના જીએસટી નંબર બ્લોક કરી દેવામાં આવશે. જેની કવાયતના ભાગ રૂપે જીએસટી અધિકારીઓ દ્વારા જે કરદાતાઓએ 6 મહિનાથી રિટર્ન ફાઇલ કરેલા ન હોય તેમના જીએસટી નંબર રદ કર્યા છે. અંદાજે સમગ્ર દેશમાં 1.35 લાખ જેટલા નંબર રદ કરાયા છે. જેમાંથી ગુજરાતના 40 હજારનો સમાવેશ થાય છે.
GST ચોરી રોકવા કાર્યવાહી
જીએસટી કરદાતાઓ દ્વારા બિલ ઇસ્યુ કરી ઓનલાઇન જીએસટીઆર -1 રિટર્ન ફાઇલ કરીને ખરીદનારને આઇટીસી પાસ કરતા હતા. પરંતુ જીએસટીઆર-3બી રિટર્નમાં ટેકસ ન ભરતા સરકારને ખોટ પડતી હતી. જેથી એક તરફ કરદાતા દ્વારા ખોટી ક્રેડિટ પાસઓન કરી સરકારને પાસ ઓન કરી સરકારને રેવન્યુનો મોટો લોસ થયો છે. જ્યારે સરકાર દ્વારા આવી જીએસટીની ચોરીને રોકવા માટે પગલા લેવાયા છે. ટૂંક સમયમાં સરકાર દ્વારા બે મહિનાથી વધારે સમયથી રિટર્ન ફાઇલ ન કર્યા હોય તેવા કરદાતાઓના નંબર પણ રદ કરવામાં આવશે. એક અંદાજ પ્રમાણે 12 લાખ જેટલા કરદાતાઓ રેગ્યુલર રિટર્ન ફાઇલ નથી કરી રહ્યાં.