



- ભરૂચ નગરપાલિકાના ફાયર સ્ટેશન તથા શેલ્ટર હોમનું પણ ઈ-લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન
- કોરોના કાળમા પણ “જાન ભી હે, જહાન ભી હે”ના મંત્ર સાથે આર્થિક-વિકાસ કામોની ગતિવિધિઓ અટકી નથી
- વિકાસકામો સમયબદ્ધ ઉપાડીને કોરોના વચ્ચે પણ ૨૦ હજાર કરોડના કામોની જનતા જનાર્દનને ભેટ આપી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દક્ષિણ ગુજરાતના ભરૂચમાં 385 કરોડની વિવિધ પાણી પુરવઠા યોજનાના ખાતમુહુર્ત કર્યું હતું. રૂપાણીએ જણાવ્યું કે, કોરોના કાળમાં પણ આ સરકારે આ વર્ષના બજેટમા થયેલા વિકાસ આયોજનો પાર પાડવાનો યજ્ઞ આદર્યો છે. ભરૂચ જિલ્લાની આ યોજનાઓ પૂર્ણ થતા 198 ગામો, 4 શહેરોને શુદ્ધ જળ મળતુ થશે.
છેલ્લા પાંચ દિવસોમાં જ 2500 કરોડના પાણી પુરવઠાના વિવિધ કામો રાજ્યભરમાં શરુ થયા
તેમણે કહ્યું કે, સરકારનું બજેટ માર્ચ મહિનામાં પસાર થયું ને તુંરત જ કોરોના સંક્રમણ વિશ્વમાં વ્યાપી ગયું, આમ છતા “જાન હે, જહાન ભી હે” ના પ્રધાનમંત્રીના ધ્યેયને વાચા આપી રાજ્ય સરકારે આર્થિક ગતિવિધિઓ, વિકાસના કામો સમયબદ્ધ ઉપાડ્યા છે. અત્યાર સુધીમાં 20 હજાર કરોડના વિકાસકામોની ભેટ કોરોના સંક્રમણ વચ્ચે પણ લોકોને આપી છે એવો સ્પષ્ટ મત તેમણે દર્શાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ પાણી, શિક્ષણ, આરોગ્ય જેવી પાયાની સુવિધાઓના વિકાસકામો પણ એ જ ત્વરાએ વેગવાન કર્યા છે તેમ ઉમેર્યું હતું. પાણીને વિકાસનો આધાર બનાવીને ઘરે ઘરે, ગામે ગામ પાણી પુરતું મળે તે માટે છેલ્લા પાંચ દિવસોમાં જ 2500 કરોડના પાણી પુરવઠાના વિવિધ કામો રાજ્યભરમાં શરુ થયા છે.
ભરૂચ જિલ્લો આગામી દિવસોમાં નંદનવન બનશે
વિજય રૂપાણીએ ગુજરાતમાં પાણીના દુકાળને ભૂતકાળ બનાવવાનો નિર્ધાર પુનઃ વ્યક્ત કરતા ઉમેર્યું કે, પાણીના નવા સ્ત્રોત, સુજલામ સુફલામ યોજના, નર્મદા-ઉકાઈ-કડાણા જળાશયો આધારિત યોજનાઓથી છેક કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પાણી પહોંચાડ્યા છે. ભરૂચના વાલિયા ખાતે અંદાજીત રૂ. 385 કરોડના ખર્ચે આકાર પામનારી વધુ ચાર પાણી પુરવઠા યોજનાઓનુ ખાતમુહુર્ત કરી આ યોજનાઓ પૂર્ણ થતા ભરૂચ જિલ્લાના પૂર્વપટ્ટીના વાલિયા, ઝગડિયા અને નેત્રંગ તાલુકાઓ આગામી દિવસોમાં નંદનવન બનશે તેમ જણાવ્યું હતું.
ખાતમુહુર્ત કરાતા કાર્યક્રમોના લોકાર્પણની નવી કાર્યપદ્ધતિ અમલી
ભરૂચ જિલ્લાના વાલિયા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ “જ્યાં માનવી ત્યાં સુવિધા”ના ધ્યેય સાથે આગળ વધી રહેલી રાજ્ય સરકારના અભિગમનો ખ્યાલ આપી આદિવાસી પ્રદેશના સર્વતોમુખી વિકાસની નેમ વ્યક્ત કરી હતી. ખાતમુહુર્ત કરાતા કાર્યક્રમોના લોકાર્પણની નવી કાર્યપદ્ધતિ અમલી બનાવીને આ સરકારે વિકાસની ઠોસ પદ્ધતિ નક્કી કરીને સુવ્યવસ્થિત, સમયબદ્ધ કાર્ય આયોજનની કાર્યશૈલી વિકસાવી છે તેમ જણાવ્યું હતું.
ગુજરાતે પાણીથી તરસતા ગુજરાતના વિકાસની આડે રહેલા તત્વોને પ્રજાએ જાકારો આપ્યો
ભૂતકાળની સરકારોની કાર્યશૈલીનો ચિતાર આપતા મુખ્યમંત્રીશ્રીએ પાણી વિના વિકાસ શક્ય નથી તેમ જણાવી પીવાના પાણીની સમસ્યાને ભૂતકાળ બનાવવાની સરકારની નેમ વ્યક્ત કરી હતી. “નેવાના પાણીને મોભે ચઢાવી”ને ગુજરાતે પાણીથી તરસતા ગુજરાતના વિકાસની આડે રહેલા તત્વોને પ્રજાએ જાકારો આપ્યો છે તેમ જણાવ્યું હતું. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શરુ કરેલી પરંપરાને આગળ વધારતા વર્તમાન રાજ્ય સરકાર વિવિધ યોજનાઓ બનાવીને નવા નવા સોર્સ આધારિત યોજનાઓની ભેટ પ્રજાજનોને આપી રહી છે તેમ જણાવી ગુજરાતમાંથી ટેન્કરરાજ ખતમ કરવા સાથે પાણી પુરવઠા યોજનાઓની ફાઈલોમાંથી “નો સોર્સ” શબ્દને દુર કર્યો છે તેમ જણાવ્યું હતું.
દરિયાના ખારા પાણીને મીઠું પીવાલાયક બનાવવાની યોજના
2022 સુધીમા ગુજરાતના દરેક ઘરને “નલ સે જલ” મળે તે માટે રાજ્ય સરકાર કાર્ય કરી રહી છે તેમ જણાવી મુખ્યમંત્રીએ સ્વચ્છ ભારત મિશન, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, અન્ન વિતરણ યોજના, વીજ જોડાણ યોજના જેવા કાર્યોમાં રાજ્ય સરકારે હાંસલ કરેલી સિદ્ધિઓનો ખ્યાલ આપ્યો હતો. માં રેવાને તીરે ભાડભૂત યોજનાનું ભગીરથ કાર્ય પણ રાજ્ય સરકારે હાથ ધર્યું છે તેમ જણાવી રુપાણીએ દરિયાના ખારા પાણીને મીઠું પીવાલાયક બનાવવાની યોજનાનો ખ્યાલ આપ્યો હતો.
ગુજરાતને પાણીદાર બનાવવા માટે વિકાસની પ્રાથમિક શરત માત્ર પાણી જ છે
આગામી 15મી ડિસેમ્બરે દેશના વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તેમના હસ્તે પણ ગુજરાતમાં વિકાસના નવા આયામો સર કરાશે તેમ જણાવી મુખ્યમંત્રી રૂપાણીએ સુજલામ સુફલામ યોજનાનો પણ ખ્યાલ આપ્યો હતો. ગુજરાતને પાણીદાર બનાવવા માટે વિકાસની પ્રાથમિક શરત માત્ર પાણી જ છે તેમ જણાવ્યુ હતું. ગુજરાતની સુખાકારી માટે હરહમેશ તત્પર રાજ્ય સરકારના પ્રયાસોનો ખ્યાલ આપી મુખ્યમંત્રીશ્રીએ ભરૂચ જિલ્લાના પ્રજાજનોને અભિનંદન આપ્યા હતા.
84.78 કરોડની જુદી જુદી ચાર પાણી પુરવઠા યોજના
આજે મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે ભરૂચ જિલ્લાની રૂ. 384.78 કરોડની જુદી જુદી ચાર પાણી પુરવઠા યોજનાઓનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. જેમા નેત્રંગ-વાલિયા જૂથ પાણી પુરવઠા યોજના ; પેકેજ-1, 2, અને 3 સહીત, મધ્યબારા જૂથ પાણી પુરવઠા યોજનાના બાકી રહેતા ગામોને જોડતી યોજના, ઝાડેશ્વર જૂથ પાણી પુરવઠા યોજના અને રુંઢ-રાજપારડી જૂથ યોજના હેઠળના બાકી પરાઓને જોડતી યોજનાઓનો સમાવેશ થાય છે.
3.25 લાખ ઘરોને નળ જોડાણની સુવિધા
ભરૂચ જિલ્લાના કુલ 3.61 લાખ ગ્રામીણ ઘરો પૈકી 3.25 લાખ ઘરોને નળ જોડાણની સુવિધા પૂરી પાડવામાં આવી છે. જિલ્લાના પ્રજાજનોને પીવા માટેના પાણીનો પુરતો જથ્થો ઉપલબ્ધ કરાવી શકાય તે માટે, વિશાળ માળખાકીય સુવિધાઓનુ નિર્માણ કરવામાં આવ્યું છે. જેમા 11 જેટલી જૂથ યોજનાઓ અંતર્ગત 357 કિલોમીટર લાંબી બલ્ક પાઈપ લાઈન, 692 કોલોમીટર લાંબી વિતરણ પાઈપ લાઈન, 174 એમ.એલ.ડી. ક્ષમતાના કુલ 11 જળ શુદ્ધિકરણ પ્લાન્ટ, 37.51 એમ.એલ.ડી. ક્ષમતાના કુલ 18 ભૂગર્ભ ટાંકાઓ અને 7.84 એમ.એલ.ડી. ક્ષમતાની કુલ 18 ઊંચી ટાંકીઓનો સમાવેશ થાય છે.
162 ગામોની 3.45 લાખની વસ્તીને સરફેસ સોર્સ આધારિત ફિલ્ટર થયેલુ પાણી મળશે
ભરૂચ જિલ્લાને ભવિષ્યમાં પણ અવિરત પાણી પુરવઠો મળતો રહે તે માટે આજે અંદાજીત રૂ.385 કરોડની પાણી પુરવઠા યોજનાઓનુ ખાતમુહુર્ત કરવામાં આવ્યું છે. આ યોજનાઓ પૂર્ણ થતા જિલ્લાના વધુ 162 ગામોની 3.45 લાખની વસ્તીને સરફેસ સોર્સ આધારિત ફિલ્ટર થયેલું પાણી પૂરું પાડી શકાશે. પાણી પુરવઠા યોજનાઓના ખાતમુહુર્ત ઉપરાંત આજે મુખ્યમંત્રીના હસ્તે ભરૂચ નગરપાલિકાના ફાયર સ્ટેશન તથા નાઈટ શેલ્ટર હોમનું પણ વાલિયા ખાતેથી ઈ-લોકાર્પણ કરાયું હતું.
ખેડૂતોને સર્વે કરીને સહાય કરાશે
મુખ્યમંત્રી વિજયભાઈએ જણાવ્યું હતું કે, હાલ માવઠું થયું છે. જેથી ખેડૂતોને નૂકસાન થયું છે. આ અંગેનો તાત્કાલિક સર્વે કરવામાં આવશે. વિભાગ દ્વારા સર્વેની કામગીરી કરીને પછી તેનું ચૂકવણું કરવામાં આવશે.
આંદોલન રાજકીય હેતુ માટેનું
દિલ્હીમાં ચાલતાં ખેડૂત આંદોલન અંગે વિજયભાઈએ ઉમેર્યું હતું કે, દિલ્હીમાં ચાલતું ખેડૂતોનું આંદોલનમાં હવે ખેડૂતો રહ્યાં નથી. માત્ર રાજકારણ પ્રેરિત છે. રાજકીય રોટલા શેકવા માટે થઈને ખેડૂતોના નામનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.