



- 1997માં લખપતના રણમાં પેટ્રોલીંગ વખતે કેપ્ટન અને લાન્સ નાયક પરત આવી જ ન શક્યા
- બન્ને જવાનોને પાક.ના હૈદરાબાદમાં પૂછપરછ માટે લઇ ગયા બાદ કોઇ વિગતો નહીં, પાકિસ્તાન આવા કોઇ કેદીની વાત સ્વિકારતું નથી
દેશ હાલ 1971ના યુદ્ધના ભવ્ય વિજયની સુવર્ણ જયંતી ઉજવી રહ્યું છે. પરંતુ આ ઉજવણીમાં ભારતના લાપતા સૈનિકોના પરિવારોનું દુ:ખ ભુલવા જેવું નથી. 1971 યુદ્ધમાં તો ભારતના અનેક જવાનો લાપતા બન્યા હતા, પરંતુ તે પછી પણ લાપતા થયેલા અનેક ભારતીય સૈનિકો અને અર્ધ લશ્કરી જવાનો પાકિસ્તાની જેલમાં નર્ક જેવી સ્થિતિમાં જીવી રહ્યાં છે. તેઓ જીવિત છે કે નહીં તેની માહિતી જવાનોના પરિવાર તો ઠીક ખૂદ સરકારને પણ નથી.
23 વર્ષ પહેલા કચ્છની બોર્ડર પરથી લાપતા થઇને પાકિસ્તાન પહોંચી ગયેલા લશ્કરના કપ્ટન સંજીત ભટ્ટાચાર્યજી અને એક લાન્સ નાયક રામ બહાદૂર થાપાનો 23 વર્ષ બાદ પણ હજુ સુધી કોઇ પત્તો લાગ્યો નથી. તાજેતરમાં લાપતા કેપ્ટનના બહેને ફરી વડાપ્રધાન મોદી સમક્ષ સોશિયલ મિડીયાના માધ્યમથી ભાઇને શોધવાની વિનંતી કરતા મામલો તાજો થયો છે.
આ મામલાની વિગત એવી છે કે વર્ષ 1997ની 19મી એપ્રિલની રાત્રિએ નિયમિત પેટ્રોલિંગ માટે ભારતીય જવાનોની એક ટુકડી સરહદ પર નિકળી હતી. ત્યારે પીલર નં. 1162થી 1165 વચ્ચે રણમાં અચાનક પાણી વધતા કેપ્ટન સંજિત ભટ્ટાચાર્યજી તથા લાન્સ નાયક રામ બહાદૂર થાપા લાપતા બની ગયા હતાં. જ્યારે અન્ય 15 જવાનો પરત આવવામાં સફળ રહ્યાં હતાં. આ દરમિયાન કેપ્ટન સંજીત અને લાન્સ નાયક થાપાને પાકિસ્તાની માછીમારોએ બચાવી લઇ પાકિસ્તાની આર્મીને હવાલે કર્યા હતાં. ત્યારબાદ બન્ને ભારતીય સૈનિકની પૂછપરછ માટે સિંધના હૈદરાબાદ લઇ જવાયા હતાં. ત્યારબાદ આ બન્ને સૈનિકની કોઇ વિગત બહાર આવી નથી ! કેપ્ટના પરિવારે સરકારમાં અનેક વખત રજૂઆત કરી પણ કોઇ માહિતી મળી શકી નથી.
આ મામલાને હવે 23 વર્ષ વિતિ ગયા છે. પોતાના પુત્રની 23 વર્ષની રાહ જોયા બાદ સંજીતના પિતા નવેમ્બર માસમાં આ દુનિયાથી વિદાય લઇ ગયા છે. પરંતુ તેમના માતા હજુ પણ પુત્રની રાહ જોઇ રહ્યા છે. હવે સંજીતના બહેને પણ ભાઇ અંગે તપાસ કરવા વડાપ્રધાન પાસે સહાયતા માંગી છે. દેશની રક્ષા માટે લાપતા થયેલા પોતાના ભાઇ મુદે કોઇ પગલા ભરવા સોશિયલ મિડીયા પર સુસ્મિતા ભટ્ટાચારજીએ માંગ કરી છે.
ભારત સરકારે યાદી આપી પણ પાકિસ્તાનનો સ્પષ્ટ ઇનકાર: કહ્યું જલમાં જ નથી
સરકારે વખતો વખત જેલમાં કેદ લાપતા કેદીઓની યાદી પાકિસ્તાનને સોંપી છે. પરંતુ પાકિસ્તાન હંમેશા આવા કોઇ કેદી પોતાની જેલમાં નથી તેવુ જણાવી દે છે. છેલ્લે ચાલુ વર્ષના ફેબ્રુઆરીમાં લોકસભામાં પણ વિદેશ મંત્રાલય દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી હતી. જેમાં યુદ્ધ કેદીઓ સહિત કુલ 83 રક્ષા કર્મચારીઓ પાકિસ્તાની જેલમાં બંધ હોવાનું કહેવામાં આવ્યું હતું. જોકે પાકિસ્તાને આ કેદીઓને વાતને સ્વિકાર કર્યો નથી.
2005માં સરકારે મૃત જાહેર કરી 2010માં ફરી લાપતાની યાદીમાં સામેલ કર્યા !
વર્ષ 2005માં સરકારે સંજીતને મૃત જાહેર કરી દીધો હતો. તેવામાં વળી 2010માં રાષ્ટ્રપતિના કાર્યાલય તરફથી પરિવારને એક પત્ર મળ્યો હતો. જેમાં કેપ્ટન સંજીત ભટ્ટાચારજી સરકારે લાપતાની યાદીમાં સામેલ કરી દીધા છે. જે પાકિસ્તાની જેલમાં છે.