



- દયાપરમાં ટ્રસ્ટને મળેલી એમ્બ્યુલન્સને ધારાસભ્યે લીલી ઝંડી આપી
લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટને દાતાના સહયોગથી ત્રણ એમ્બ્યુલન્સ સેવા અર્થે મળી હતી, જેને અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
દયાપર ખાતે અબડાસાના ધારાસભ્ય દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો આરંભ કરાવ્યો હતો. મુખ્ય દાતા જીવનજ્યોત ટ્રસ્ટ-પરેલ (મુંબઇ-મૂળ કચ્છ)ના એવા હરખચંદ સાવલાને ‘કૌન બનેગા કરોડ પતિ’માં રૂપિયા 50 લાખ જીત્યા હતા અને તે રૂપિયામાંથી ત્રણ એમ્બ્યુલન્સ કચ્છના લોકોને સારી સુવિધા મળી રહે તેની માટે ખરીદીને લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટને આપી હતી. આ કાર્યક્રમમાં છેલ્લા સાત વર્ષથી એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતા તસલીમભાઇ મેમણ, ઇમ્તીયાઝ કુંભાર તેમજ મહેન્દ્રભાઇ તબિયારનું ધારાસભ્યના હાથે સન્માન કરાયું હતું. લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ હેમેન્દ્રભાઇ જણસારી સતત કચ્છના લોકો માટે નિ:સ્વાર્થ ભાવે અને કોઇ પણ પ્રકારના ભેદભાવ વગર સેવા કરતા રહે છે તથા દયાપર ખાતે ટ્રસ્ટની નવા કાર્યાલયનું ધારાસભ્ય દ્વારા રીબીન કાપીને ખુલ્લું મૂકાયું હતું.
આ કાર્યક્રમમાં સરહદ ડેરીના વાઇસ ચેરમેન હસમુખભાઇ પટેલ, માતાના મઢ સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજા, તાલુકા ભાજપ પ્રમુખ વેરસજી તુંવર, સરપંચ ભવાનભાઇ પટેલ, ઉપસરપંચ ઉરસભાઇ નોતિયાર, નલીનભાઇ જણસારી, સૈયદ મામદછા બાવા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચંદ્રદાન ગઢવીએ કર્યું હતું તથા આયોજનની વ્યવસ્થા દિલીપભાઇ જણસારીના માર્ગદર્શન હેઠળ યુવાનોએ સંભાળી હતી.